રાજકોટ
News of Saturday, 11th May 2019

NCP દ્વારા ઠેરઠેર 'વોટર રેઇડ' : પાણી સમસ્યાના અહેવાલો રાજયપાલને સોંપશે

રાજકોટ તા. ૧૧ : રાજયમાં પીવાના પાણીની તંગી વર્તાઇ રહી હોવા છતા શાસકો અને તંત્રવાહકો દ્વારા જુદુ જ ચિત્ર બતાવવા થઇ રહેલ પ્રયાસોને ઉઘાડા પાડવા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી દ્વારા ઠેરઠેર 'વોટર રેઇડ' નું અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે.

'અકિલા' ખાતે વિગતો વર્ણવતા એન.સી.પી.ના આગેવાનોએ જણાવેલ કે  પ્રથમ તબકકામાં પ મી થી ૧૨ સુધી રાજયના પાંચ ઝોનમાં વોટર રેઇડ હાથ ધરાઇ છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, સુરત, વલસાડ, તાપી, ડાંગ, નવસારી, વડોદરા, ખેડા, પંચમહાલ, દાહોદ, ભરૂચ સહીતના જિલ્લાના ગામોમાં રૂબરૂ સ્થળ તપાસ કરી પાણી સમસ્યાઓની વિગતો એકત્ર કરવામાં આવી છે.

આગામી દિવસોમાં જુનાગઢ, મોરબી, રાજકોટ, જામનગર, ભાવનગર, બોટાદ, પોરબંદર, દ્વારકા જિલ્લાઓના ગામોનો અભ્યાસ હાથ ધરવામાં આવશે.

અનેક વિસ્તારો પાણીની કટોકટીનો સામનો કરી રહ્યા છે. જે ચિત્ર બતાવવામાં આવી રહ્યુ છે તેનાથી વિપરીત સ્થિતીનો સામનો લોકો કરી રહ્યાનું એન.સી.પી.ના આગેવાનોએ જણાવેલ છે. પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. પશુધનની સ્થિતી પણ ચિંતાજનક છે. ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં મુંગા પશુઓનું સ્થળાંતર થયુ છે.

કચ્છના રાપરથી હિજરત કરી રાજકોટના પાદરમાં આવેલ ૨ હજારથી વધુ ગાયો ભગવાન ભરોસે છે. માત્ર જીવદયાપ્રેમીઓ અને શ્રેષ્ઠીઓના દાનના આશરે તેમનો જીવન ગુજારો થઇ રહ્યો છે. સરકાર દ્વારા કોઇ વ્યવસ્થા કરાઇ નથી.

રાજકોટના માધાપર તેમજ પડધરીના રૂપાવટીમાં પણ ભયંકર જળ સમસ્યા હોવાનું એનસીપી આગેવાનોએ જણાવેલ.

આ વોટર રેઇડમાં એન.સી.પી. પ્રવકતા હરીકૃષ્ણ જોષી (મો.૯૪૨૬૪ ૭૩૩૦૦), ડો.જગદીશચંદ્ર દાફડા, વસંતભાઇ કોરીંગા, સુખદેવભાઇ ડાંગર, નરસિંહભાઇ પટેલ, રામજીભાઇ રૂપારેલીયા વગેરે સાથે જોડાયા હતા.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા એનસીપીના ડો. જગદીશચંદ્ર દાફડા (મો.૯૮૨૫૨ ૧૫૨૭૯), સુખદેવભાઇ ડાંગર, નરસિંહભાઇ પટેલ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:50 pm IST)