રાજકોટના સતવારા પરિવારને વંથલી પાસે અકસ્માતઃ વૃધ્ધાનું મોત
કારને ટ્રકે હડફેટે લેતા ૩ મહિલાને ઇજાઃ ડ્રાઇવર નાસી છૂટયો
જૂનાગઢ તા. ૧૧ :.. રાજકોટનાં પરિવારની કારને વંથલી પાસે નડેલા અકસ્માતમાં વૃધ્ધાનું મોત થયાનું અને ૩ મહિલાને ઇજા થઇ હોવાનું જાણવા મળેલ છે.
આ અકસ્માતની વિગતો એવી છે કે, રાજકોટમાં ગાંધીગ્રામ પાસેનાં આહારનગરમાં વેલનાથ ચોક પાસે રહેતા હિંમાશુભાઇ પ્રવિણભાઇ રંગાડીયા (સતવારા) ગઇકાલે તેમનાં પરિવાર સાથે પોતાની વેગન આર કાર નં. જીજે-૦૩-સી. જે. પ૩પ૬ માં અમરેલી જિલ્લાનાં બગસરા ગયા હતાં.
બાદમાં સાંજે બગસરાથી જૂનાગઢ જિલ્લાના માણાવદર તરફ જઇ રહ્યા હતાં ત્યારે વંથલીનાં શાપુરનાં પાટીયા પાસે પુરઝડપે આવી રહેલા જી. જે.-૦૪-ટી-૬ર૭૩ નંબરનાં ટ્રકે કારને હડફેટમાં લીધી હતી.જેમાં હિમાંશુભાઇનાં દાદીમા શાંતાબેનનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજયુ હતું તેમજ હિંમાશુભાઇ ઉપરાંત તેમના પત્ની તથા રીટાબેન અને ભારતીબેન નામની મહિલાને ઇજા થતા તમામને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
અકસ્માત બાદ ટ્રક ડ્રાઇવર નાસી ગયો હતો. પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.