કોરાના સામે જાગૃતિ માટે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન સામે ચિત્રનગરીના કલાકારોએ બનાવ્યા સંદેશો આપતાં બે ચિત્રો: પીઆઇ ખુમાનસિંહ વાળા અને ટીમનો સહકાર
રાજકોટઃ કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, સંયુક્ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન ૨ મનોહરસિંહ જાડેજા, એસીપી પશ્ચિમ વિભાગ પી કે દિયોરા દ્વારા સૂચના આપવામાં આવી છે કે હાલમાં માસ્ક પહેરવું અને વેક્સિન લેવી આ બે ઉપાય બાબતે લોકોને વધુમાં વધુ જાગૃત કરવા.સરકાર દ્વારા પણ લોકોને અવારનવાર જુદા જુદા માધ્યમો દ્વારા લોકોને જાગૃત કરવામાં આવે છે. દરમિયાન રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા પણ કોરોના સંક્રમણ અટકાવવા વેક્સિન લેવા તેમજ માસ્ક પહેરવા અંગે લોકોને જાગૃત કરવા માટે એક નવતર પ્રયોગ અપનાવાયો છે. ચિત્રનગરીના કલાકારો દ્વારા 150 ફૂટ રિંગ રોડ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન સામે પોલીસ ઇન્સ્પેકટર ખુમાનસિંહ વાળા સાથે મળી કોરોના જાગૃતિ માટે રોડ પર બે ચિત્ર બનાવવામાં આવ્યા છે. જેમાં એક વેક્સિન જાગૃતિ માટે અને બીજું ચિત્ર એક નાની બાળકી બે હાથ જોડીને તેમના વડીલોને કહે છે કે તમારા બાળક માટે માસ્ક પહેરો અને ઘરે રહો. ચિત્રનગરીના કલાકાર રૂપલબેન સોલંકી, લલિતભાઈ માલવિયા, જય દવે અને શિવમ અગ્રવાલ દ્વારા આ ચિત્રો બનાવવામાં આવ્યા છે.