ગીતા વિદ્યાલયમાં રામનવમીથી નિઃશુલ્ક છાશ કેન્દ્રનો પ્રારંભઃ ૪૬ વર્ષથી ચાલતો સેવાયજ્ઞ
રાજકોટ,તા.૧૧: અહિંના જંકશન પ્લોટ ખાતે શ્રીમનહરલાલજી મહારાજ સ્થાપિત સેવાસંસ્થા ગીતા વિદ્યાલય ટ્રસ્ટ (રજિસ્ટર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ) દ્વારા છેલ્લા ૫૩ વર્ષોથી બાળ સંસ્કાર કેન્દ્ર, ગીતા પ્રચાર, સંસ્કૃત પ્રચાર, સાર્વજનિક વાચનાલય, રાહત દરે નોટબુક વિતરણ, નિઃશુલ્ક નિદાન- સારવાર કેમ્પ, જ્ઞાનયજ્ઞ, બાળમજુરી નાબુદી, વ્યસનમુકિત વગેરે સેવા પ્રવૃતિઓનું સંચાલન થાય છે.
રાજકોટમાં ગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા ઈ.સ.૧૯૭૩માં નિઃશુલ્ક ઉનાળુ છાશકેન્દ્રનો પ્રારંભ થયો હતો. છેલ્લા ૪૬ વર્ષોથી આ સંસ્થા દ્વારા ઉનાળામાં ત્રણ માસ સુધી છાશકેન્દ્રનું સંચાલન થાય છે. જેમાં નાત- જાત કે ધર્મના ભેદભાવ વિના સમાનતાના ધોરણે પ્રતિદિન ૩૦૦ જેટલા પરિવારોને (આશરે ૧૫૦૦ વ્યકિતઓને) પરિવાર દીઠ સવા લીટર તાજી અને પૌષ્ટિક છાશનું નિઃશુલ્ક વિતરણ થાય છે. આ વર્ષે છાશકેન્દ્રના ૪૭ મા વર્ષનો રામનવમી, તા.૧૪ એપ્રિલને રવિવારે સવારે ૯:૩૦ કલાકે શુભારંભ થશે. મથુરાદાસ નરભેરામ પારેખ ચેરી.ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી તરલાબેન રસિકલાલ મહેતાના હસ્તે છાશકેન્દ્રનું ઉદ્ઘાટન થશે.
આ પ્રસંગે મુખ્ય મહેમાનપદે વ્યાપારી અગ્રણી દોલતભાઈ ગાદેશા, હિતેશભાઈ બગડાઈ, સુર્યકાન્તભાઈ ત્રિવેદી અને નોબલ સ્કૂલના સંચાલક પરેશભાઈ વ્યાસ ઉપસ્થિત રહેશે. તેમજ જંકશન- ગાયકવાડી પ્લોટના વ્યાપારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના હોદ્દેદારો અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. દર વર્ષે ઉનાળાના પ્રારંભે રામનવમીએ છાશકેન્દ્રનો પ્રારંભ થાય છે અને જુન માસમાં વરસાદ થઈ જાય ત્યારે છાશકેન્દ્રનું સમાપન થાય છે. આ સેવાકાર્યમાં અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ, મથુરાદાસ નરભેરામ પારેખ ચેરી.ટ્રસ્ટ, રઘુવંશી ધી બેસ્ટ ગ્રુપ, રાજકોટ નાગરિક સહકારી બેંક, જીવણલાલ જાદવજી પટેલ ચેરી. ટ્રસ્ટ, ડો.કે.એમ.આચાર્ય, નોબલ એજયુકેશન એન્ડ માનવસેવા ચેરી.ટ્રસ્ટ વગેરેનો સહયોગ મળેલ છે. જરૂરીયામંદ પરિવારોને રેશનકાર્ડના આધારે સાંજે ૬ થી ૭ દરમ્યાન છાશનું કાર્ડ કાઢી આપવામાં આવે છે.
તસ્વીરમાં ''અકિલા'' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ડો.કૃષ્ણકુમાર મહેતા, દોલતભાઈ ગાદેશા (રઘુવંશી ધી બેસ્ટ ગ્રુપ), હિતેશભાઈ બગડાઈ, સૂર્યકાંતભાઈ ત્રિવેદી નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)