આજથી કાર્પેટ મુજબ વેરા વસુલાતનો પ્રારંભઃ ૧૦ થી ૧પ% વળતર
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સરકારી મીલ્કતોનો વેરા ઘટાડો નામંજુર કરી કાર્પેટ વેરાને લીલી ઝંડી આપી
રાજકોટ, તા. ૧૧ : આજથી મ્યુ. કોર્પોરેશન દ્વારા ઐતિહાસિક કાર્પેટ વેરા પદ્ધતિ મુજબ વેરો વસુલવાનો પ્રારંભ થયો છે અને સાથોસાથ વેરા વસુલાતમાં ૧૦થી ૧પ ટકાની વળતર યોજનાનો પ્રારંભ પણ આજથી જ શરૂ થયો છે.
આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ શહેરમાં અંદાજે ૪.પ લાખ મિલ્કતોની કાર્પેટ મુજબ વેરા આકારણી થઇ ગઇ છે અને તેમાં વેરા બીલ સ્પીડ પોસ્ટ મારફતે મોકલાવવામાં આવી રહ્યા છે. ઉપરાંત વેબસાઇટના માધયમથી મિલ્કત ધારકો પોતાના કાર્પેટ વેરા મુજબનો વેરાબીલ મેળવી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આથી આ મુજબ આજે સવારે ૧ર વાગ્યાથી કાર્પેટ વેરા મુજબની વસુલાતનો સત્તાવાર પ્રારંભ થયો છે અને સાથો સાથ દર વર્ષે એપ્રિલમાં આવતી એડવાન્સ વેરાની ૧૦ થી ૧પ ટકાના વળતર યોજનાનો પણ પ્રારંભ થયો છે.
દરમિયાન અત્રે એ બાબત ખાસ નોંધનીય છે કે, કાર્પેટ વેરાની વહીવટી મંજુરીથી ફાઇલ ગાંધીનગર ખાતે પેન્ડીંગ હોવાથી વેરા વસુલાત અટકી હતી. જોકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અંગત રસ લઇ રાજકોટની 'કાર્પેટ વેરા'ની ફાઇલ માંગાવી તેમાં સરકારી મિલ્કતોનો વેરાનો ભારાંક 'ર' રાખવાની સરકારની દરખાસ્તને નામંજુર કરી '૭' ભારાંક મંજુર કરીને કાર્પેટ વેરાને વહીવટી મંજુરી આપી દેતા આજથી વેરા વળતર સાથેજ નવા કાર્પેટ વેરાની વસુલાતનો પ્રારંભ થઇ ગયો છે.