કોઠારિયા રોડ કેદારનાથના ગેઇટ પાસે ભંગારના ડેલામાં ભીષણ આગ લાગી
પ્લાસ્ટીકનો ભંગાર, વાયરીંગ, પસ્તી, પુઠાનો જથ્થો અને શેડ બળી ગયોઃ મોટુ નુકશાન
રાજકોટઃ કોઠારિયા રોડ પર નંદા હોલ પાસે કેદારનાથના ગેઇટ પાસે આવેલા પારેખ પસ્તી ભંડાર અને તેની બાજુમાં તેના-ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગતા ગોડાઉનની આસપાસ રહેતા લોકોએ જાણ કરતા ગોડાઉનના માલીક અમીતભાઇ પારેખ તાકીદે સ્થળ પર પહોંચી ગયા હતા અને હાર્દીકભાઇ નામના વ્યકિતએ જાણ કરતા ફાયર બ્રીગેડ સ્ટાફ પાંચ ફાયર ફાઇટર સાથે સ્થળ પર પહોંચી સતત ચાર કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગ ભંગારના ડેલામાં લાગી હતી. તેમાં પ્લાસ્ટીકના ભંગારનો જથ્થો, વાયરીંગ, પસ્તી અને પુઠાનો જથ્થો તથા પતરાનો શેડ બળી ગયો હતો. જો કે આ બનાવમાં કોઇ જાનહાની થઇ નથી. આગમાં અંદાજે દોઢ લાખનું નુકસાન થયું હોવાનું ગોડાઉનના માલીકે જણાવ્યું હતું. આગ કયા કારણોસર લાગી તે જાણવા તપાસ થઇ રહી છે.