રાજકોટ
News of Monday, 11th February 2019

હાશ... આ સપ્તાહમાં ઠંડીમાં રાહત મળશે

વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલનો નિર્દેશ : કાલે મહત્તમ તાપમાન ૩૨થી ૩૩ ડિગ્રીએ પહોંચી જશે : પવનની ગતિ કયારેક વધી જાય : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી પશ્ચિમ એમ.પી. બોર્ડરને લાગુ ગુજરાત બોર્ડરમાં એકાદ દિ' છાટાછૂટીની શકયતા

રાજકોટ, તા. ૧૧ : છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રવાસીઓ અસહ્ય ઠંડીથી ત્રસ્ત છે ત્યારે આ સપ્તાહમાં ઠંડીમાં રાહત મળશે. આવતીકાલે મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી પશ્ચિમ એમ.પી. બોર્ડરને લાગુ ગુજરાત બોર્ડરમાં છાંટાછૂટી એક દિવસ આંશિક સંભાવના છે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ હતું કે, ઠંડીનો વધુ એક સારો રાઉન્ડ આવી ગયો. ગત આગાહીમાં જણાવેલ કે, ૧૧મીએ તાપમાન નોર્મલ પહોંચી જશે તેમ જણાવેલ, પણ આજે રાજકોટ અને અમદાવાદમાં ૧૧.૫ લઘુતમ તાપમાન હતું. જે ૨ થી ૩ ડિગ્રી નીચુ ગણાય. મહત્તમ તાપમાન ૨૪ ડિગ્રી સુધી ઘટી ગયેલ. જે ગઈકાલે રાજકોટમાં ૨૮.૩ ડિગ્રી હતું. આજે નોર્મલ તાપમાન ૩૦ ડિગ્રી આસપાસ પહોંચી જશે. અમદાવાદમાં ગઈકાલે મહત્તમ તાપમાન ૨૬.૯ ડિગ્રી હતું તે પણ નોર્મલ નજીક આવી જશે.

અશોકભાઈ તા.૧૨ થી ૧૭ ફેબ્રુઆરીની આગાહી કરતાં જણાવે છે કે તા.૧૨ના ન્યુનતમ તાપમાન નોર્મલ, મહત્તમ તાપમાન નોર્મલથી ૨ થી ૩ ડિગ્રી એટલે કે ૩૨ થી ૩૩ ડિગ્રી સુધી પહોંચી જશે. તા.૧૩ના મહત્તમ તાપમાન નોર્મલ નજીક રહેશે. તા.૧૪-૧૫-૧૬ના તાપમાન નોર્મલ અથવા નોર્મલથી એકાદ ડિગ્રી નીચુ રહેશે. ૧૭મીએ પણ તાપમાન નોર્મલ નજીક રહેશે. જયારે ન્યુનતમ તાપમાન પણ નોર્મલ નજીક રહેશે.

તા.૧૩ થી ૧૫ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નોર્થ ઈન્ડિયા અને યુ.પી., પશ્ચિમ એમ.પી. સુધી અસર કરશે. જેની અસરથી પશ્ચિમ એમ.પી.ના લાગુ ગુજરાત બોર્ડરમાં એકાદ દિવસ ૫૦% છાટાછૂટીની શકયતા છે. ૧૪મી સુધી પવન ફર્યા રહેશે. કયારેક પવનની ગતિ એકાએક વધી જશે. તા.૧૪થી ૧૬ પવનની માત્રા ઓછી રહેશે.(૩૭.૧૬)

(3:42 pm IST)