રાજકોટ
News of Monday, 11th February 2019

કુતિયાણાના પૂર્વ ધારાસભ્યના ઉપપત્નિને વારસદાર તરીકે જોડવા ડીસ્ટ્રીકટ કોર્ટનો હુકમ

રાજકોટ, તા. ૧૧ :  કુતિયાણાના ભૂતપૂર્વ ધારાસભ્ય ભુરાભાઇ મુંજાભાઇ જાડેજાએ તેમની હયાતી દરમ્યાન રાજકોટની સીવીલ કોર્ટમાંથી ગુજરનાર તેમના માતૃશ્રીના વીલના પ્રોબેટની રૂએ પ્રોબેટ સર્ટીફીકેટ પુરાવો લીધા બાદ હુકમ મુજબ મેળવેલ. સદરહું અરજીમાં વાંધેદાર તરીકે ભુરાભાઇ જાડેજાના ભત્રીજા, એભાભાઇ અરજણભાઇ જાડેજાએ વાંધાઓ લીધેલા. જે તમામ વાંધાનો પુરાવા લીધા બાદ નામંજુર કરેલા અને પ્રોબેટ સર્ટીફીકેટ શ્રી સીવીલ જજ પ્રજાપતિ એ કાઢી આપેલ હતું.

આ હુકમની સામે ભત્રીજા એભાભાઇ અરજણભાઇ જાડેજાએ રાજકોટની ડીસ્ટ્રીકટ કોર્ટમાં અપીલ દાખલ સને ર૦૧રમાં કરેલ. ચાલુ અપીલ દરમ્યાન તા. ૦૬-૦પ-ર૦૧૬ના રોજ ભુરાભાઇ મુંજાભાઇનું અવસાન થતાં, સદરહું ચાલુ અપીલમાં વારસાદર દરજ્જે / પત્નિ દરરજે  જરૂરી પક્ષકાર હોવાથી, પક્ષકાર તરીકે જોડાવા અરજી ગં.સ્વ. હીરલબાબેન ભુરાભાઇ જાડેજાએ અરજી કરેલ.

આ વારસદાર તરીકે જોડવાની અરજીના સખ્ત વાંધાઓ એભાભાઇ જાડેજાએ વકિલ દ્વારા રજુ કરેલ કે, ગુજરનાર ભુરાભાઇ મુંજાભાઇ જાડેજાના કાયદેસરના પત્નિ-હીરલબા બેન ભુરાભાઇ જાડેજા નથી, ભુરાભાઇના કાયદેસરના પત્નિ ચવલાદેવી જીવિત છે અને યુ.કે.માં રહે. છે. ગેરકાયદેસર પત્નિે વારસ દરજ્જે / પત્નિ તરીકે ઇન્ડીયન સકશેસન એકટ અન્વયે જોડી શકાય નહીં, જયારે ઉપપત્નિ હીરલબાબેન ભુરાભાઇ જાડેજાના એડવોકેટશ્રી હર્ષદકુમાર એસ. માણેક દ્વારા લો પોઇન્ટ ઉપર દલીલો કરેલ અને જુદા જુદા આશરે ૭૦ જેટલા ડોકયુમેન્ટ્રી પુરાવાઓ રજુ કરીને સાબિત કરેલ કે, ગુજરનાર ભુરાભાઇ મુંજાભાઇ જાડેજાની સાથે જ પત્નિ દરજ્જે હીરલાબાબેન ભુરાભાઇ જાડેજા રહે છે. જે અંગે આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ, બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની સનદ, બેંક પાસ બુક, પોલીસ રેકર્ડ, કોર્ટનું રેકર્ડ જેવા અનેક પુરાવાઓ પત્નિ તરીકે દરજ્જો આપતા હોય તેવા રજુ કરેલા. જે તમામ નિરીક્ષણ કરીને, પુરાવાનું અર્થઘટન કરીને, ઉપપત્નિહીરલબાબેનને ગુજરનાર ભુરાભાઇના પત્નિ દરજ્જે વારસાદર દરજ્જે જોડવા અંગેનો હુકમ ડીસ્ટ્રીકટ જ્જશ્રી ગીતાબેન ગોપી માડમે ફરી અરજી મંજુર કરીને ઠરાવેલ છે કે હાલના કિસ્સામાં કાયદેસરના પત્નિ છે કે નહીં તે પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. અને તે અંગે ડીસીઝન આપવાનું આ કોર્ટને રહેતુ નથી. જરૂરી  અને મહત્વના  પક્ષકાર અને અસરકર્તા થાય છે. જેથી હિરલબાબેનને જરૂરી પક્ષકાર/ રીસ્પોન્ડન્ટ તરીકે જોડવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં રીસ્પોન્ડન્ટ, હીરલબાબેન ભુરાભાઇ જાડેજા વતી રાજકોટના જાણીતા વિદ્વાન ધારાશાસ્ત્રી શ્રી હર્ષદકુમાર એસ. માણેક સોનલબેન ગોંડલીયા તથા નેહલ ડી. ત્રિવેદી રોકાયેલ છે.

(3:35 pm IST)