શનિવારે ૧૦ સ્થળે કોરોના રસીકરણ
પ્રથમ તબકકે ડોકટરો-નર્સીંગ સ્ટાફ-સફાઇ કામદારોને અપાશે રસી
રાજકોટ તા. ૧૧ :.. અંતે એ ઘડી આવી ગઇ છે. જેની સૌ કોઇ રાહ જોતુ હતું આગામી શનીવારથી રાજકોટમાં કોરાનાનું રસીકરણ શરૂ થઇ જશે. અને ૧૦ જેટલા સ્થળોએ કોરોનાની રસી આપવાનાં કેન્દ્રો સ્થાપવામાં આવશે જેમાં પ્રથમ તબકકે ફ્રન્ટ લાઇન વોરિયર્સની કેટેગરીમાં આવતાં ડોકટરો, હેલ્થ વર્કરો અને નર્સીંગ સ્ટાફ તેમજ સફાઇ કામદારોને રસી આપવામાં આવશે.
આ અંગે મ.ન.પા.નાં આરોગ્ય વિભાગનાં સુત્રોનાં જણાવ્યા મુજબ શનીવારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૧૦ જેટલા સ્થળોએ કોરોનાનુ રસીકરણ થશે.
જેમાં (૧) પંડીત દિન દયાળ સરકારી હોસ્પીટલ (ર) પદ્મકુંવરબા હોસ્પીટલ (ગુંદાવાડી), (૩) સ્ટલીંર્ગ હોસ્પીટલ (૪) વોકહાર્ટ હોસ્પીટલ (પ) શ્યામનગર આરોગ્ય કેન્દ્ર (૬) નારાયણનગર આરોગ્ય કેન્દ્ર (૭) રામપાર્ક આરોગ્ય કેન્દ્ર (૮) કોઠારીયા આરોગ્ય કેન્દ્ર (૯) આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર (૧૦) પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર વગેરે સ્થળોએ રસીકરણ થશે.
રોજ ૧ સ્થળે ૧૦૦ વ્યકિતને રસી અપાશે
જાણવા મળ્યા મુજબ ઉપરોકત દસ સ્થળોએ એક રસી કેન્દ્રમાં વધુમાં વધુ ૧૦૦ વ્યકિતને રસી આપવાનું આયોજન છે આમ કુલ મળી દરરોજ ૧૦૦૦ વ્યકિતને રસી આપવાનું આયોજન છે.
પી. એમ. સાથે વાર્તાલાપ થશે
આ રસીકરણનાં પ્રતિભાવો આપવા અંગે મેડીકલ કોલેજ ખાતે ટુ-વે સીસ્ટમ પણ રખાશે. જયા દેશનાં વડાપ્રધાન સાથે રસી લેનાર વ્યકિત સીધી વાતચીત કરી પોતાનાં પ્રતિભાવો આપી શકે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.