જીલ્લા ગાર્ડન પાસેથી બાઇક અકસ્માતમાં ઘવાયેલા લક્ષ્મણભાઇ દેથાનું મોત
ગઢવી યુવાનને કોઇએ ઠોકરે ચડાવ્યો કે સ્લીપ થવાથી તે અંગે તપાસ
રાજકોટ, તા. ૧૧ : બાપુનગર પુલ નજીક જીલ્લા ગાર્ડન પાસે બાઇક અકસ્માતમાં ઘવાયેલા ગઢવી યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ બનાવમાં ગઢવી યુવાનને કોઇએ ઠોકરે ચડાવ્યો કે સ્લીપ થતાં મૃત્યુ થયું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. મળતી વિગત મુજબ રણુજા મંદિર પાસે રહેતા લક્ષ્મણભાઇ હમીરભાઇ દેથા (ઉ.વ.૩૦) ગઇકાલે પોતાનું બાઇક લઇને ઘરેથી નિકળ્યા બાદ બાપુનગર પુલ પાસે જીલ્લા ગાર્ડન પાસેથી તે માથામાં ઇજાગ્રસ્ત હાલતમાં પડેલ હોઇ, તેને તાકીદે ૧૦૮ મરફતે સારવાર માટે સીવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
મૃતક લક્ષ્મણભાઇ બે ભાઇમાં મોટા હતા, તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. આ બનાવની જાણ થતાં ભકિતનગર પોલીસ મથકના એએસઆઇ સુભાષભાઇ તથા રાઇટર નીલેષભાઇએ પ્રાથમિક કાગળો કર્યા હતાં. આ બનાવમાં ગઢવી યુવાનનું સ્લીપ થતા કે કોઇને ઠોકરે 'ચઢાવ્યા' તે અંગે એએસઆઇ રવિભાઇ વાંકે તપાસ હાથ ધરી છે.