જગુભાઈ શાહ પરિવાર પ્રત્યે વિજયભાઈની હાર્દિક સંવેદનાઃ પારિવારિક ભાવ પ્રગટ
રાજકોટઃ તાજેતરમાં રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના મેનેજર (ટ્રેનીંગ) અને જૈન શ્રેષ્ઠી નિલેશભાઈ શાહના પિતાશ્રી જગુભાઇનું દુઃખદ અવસાન થયું હતું. આ સમાચાર જાણી ગુજરાતનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સત્વરે શોક ઠરાવ પાઠવેલ હતો. આટલું જ નહિ, અવસાનનાં થોડા દિવસમાં જ શાહ પરિવારને ઘેર રૂબરૂ જઇ સાંત્વના પાઠવી હતી.
વિજયભાઇએ વાતચીત દરમ્યાન કિરીટભાઈ (મનીકેર), નિલેશભાઈ (મેનેજર-ટ્રેનીંગ, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. અને જૈેન શ્રેષ્ઠી), નિતીનભાઇ (અરવિંદભાઈ મણીઆર એન્ડ કં.), જયેશભાઇ (રિલાયન્સ)ને સાંત્વના પાઠવતાં પરિવારનાં વડિલ અને મોભી સમાન જગુભાઇ સાથેની વર્ષા જુની અનેક યાદો વાગોળી હતી. મુખ્યમંત્રી વિજયભાઇને શાહ પરિવાર સાથે સાડા ત્રણ દાયકાથી કુટુંબ જેવો સંબંધ છે. નિલેશભાઇ અને વિજયભાઇએ રાજકોટમાં સાથે કામ કર્યું છે. રાજકીય અને સમાજ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરવા છતાં વિજયભાઈ રૂપાણી પોતાનો આ સંબંધ ભૂલ્યા નથી. કોઇ પણ પદ પર હોય એમના આવા સંબંધ સતત જીવંત રહ્યા છે.
આ તકે વિજયભાઇએ જગુભાઇની ધર્મનિષ્ઠા, આરાધના પ્રત્યેનું સમર્પણ, વૈયાવચ્ચનો ભાવ આપણા સહુ માટે પ્રેરણદાયી બની રહે છે તે મુજબની વાત કરી હતી.
વિજયભાઇ રૂપાણીની સાથે અંજલિબેન રૂપાણી, નીતિનભાઈ ભારદ્વાજ, મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય , ભાનુબેન બાબરીયા (પૂર્વ ધારાસભ્ય), રાજુભાઇ ધ્રુવ, શ્રીમતી રમ્યા મોહન (કલેકટર), ઉદિત અગ્રવાલ (કમીશ્નર), મનોજભાઇ અગ્રવાલ (પોલીસ કમીશ્નર), મનહરભાઇ કોઠારી વગેરે ઉપસ્થિત હતા.