પડધરીના ખોડાપીપર ગામે પુત્રવધુની હત્યાના કેસમાં નણંદની જામીન અરજી મંજૂર
રાજકોટ, તા. ૧૦ પડધરીના ખોડાપીપર ગામે થયેલ પુત્રવધુના ખૂન કેસમાં નણંદના જામીન મંજૂર કરવાનો અદાલતે હુકમ કર્યો હતો.
આ ચકચારી કેસની વિગત જોઇએ તો આ કામના ફરીયાદી અશોકભાઇ ડાયાભાઇ ખુમાણ જાતે અનુજાતિ રહે. જીલરીયા વાળાએ ગત તારીખ ૪-પ-૧૯ના રોજ પોતાની મરણજનાર બહેન રંજનબહેનના પતિ ડાહ્યાભાઇ નાગજીભાઇ ચૌહાણ, નણંદ શાન્તાબેન અને સાસુ પુંજીબેન ગગજીભાઇ ચૌહાણ બધા રહે. ખોડાપીપર તાલુકો પડધરી વિરૂદ્ધ પડધરી પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી.ની કલમ ૩૦ર, ૪૯૮ (એ), ૩૪ મુજબ આ કામના આરોપીઓએ મરણજનાર સાત વર્ષના લગ્ન જીવન દરમ્યાન પરેશાન કરી મારજુડ કરી સાથે મળી આજરોજ તારીખ ૪-પ-ર૦૧૯ના રોજ ફરીયાદીના બહેન રંજનબેનને ગળે કાપડની સાડી વડે ગળે ટુપો આપી દઇ મોત નિપજાવી એકબીજાનો સમાન ઇરાદો પાર પાડી મદદગારી કરી ગુન્હો કર્યા બાબત ફરીયાદ નોંધાવેલ હતી.
આ કામે મરણજનાર રંજનબેનના નણંદ શાંતાબેન વિનોદભાઇ મકવાણાએ હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન માટે જામીન અરજી કરેલ. આરોપીના વકીલો દ્વારા રજૂઆત કરવામાં આવેલ કે મરણજનારના નણંદ થતા હોય પોતે પણ એક સ્ત્રી છે. ચાર્જશીટ પક્ષોના વકીલોની દલીલો તથા હાઇકોર્ટ સુપ્રિમ કોર્ટના ચૂકાદાઓ ધ્યાને લઇ ગુજરાત હાઇકોર્ટએ આરોપી શાન્તાબેનની જામીન અરજી મંજૂર કરેલ છે.
આ કામમાં શાંતાબેન વતી હાઇકોર્ટમાં વકીલ શ્રી વિકી મહેતા તથા રાજકોટના રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર, કુલદીપસિંહ બી. જાડેજા, દિપક ભાટીયા, ભરત સોમાની, શિવરાજસિંહ ઝાલા, શકિત ગઢવી વગેરે રોકાયેલ હતાં.