રાજકોટ
News of Tuesday, 10th December 2019

તપસ્વી ગુરૂદેવ તો જાગતા દેવ છે, તેના ચરણે એકવાર મન થી ઝૂકે, તે અખૂટ પામે છેઃ પૂ.પારસમુનિ

રાજકોટ,તા.૧૦: ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ.ગુરૂદેવ શ્રી જગદીશ મુનિ મ.સા.ના સુશિષ્ય સદ્દગુરૂદેવ પૂ.શ્રી પારસમુનિ મ.સા.ના સાનિધ્યે પ્રગટ પ્રભાવી તપસ્વી પૂ.શ્રી માણેકચંદ્રજી મહારાજ સાહેબની ૯૮મી પુણ્યસ્મૃતિની ઉજવણી જેતપુર તપસ્વીજીની ઓરડી પર થઈ રહ્યો છે.

સદ્દગુરૂદેવ પૂ.શ્રી પારસમુનિ મ.સાહેબે જણાવેલ કે આવતીકાલે ૧૧મીના ૯૮માં પુણ્ય સ્મૃતિ દિનની ભવ્યાતિભવ્ય ઉજવણી તપ- ત્યાગથી થઈ રહી છે. જિનશાસન જયોતિર્ધર પૂ.માણેકચંદ્રજી મહારાજ સાહેબનો જન્મ વિ.સં.૧૯૧૫માં, જેતપુર (કાઠી)માં પ્રેમજીભાઈ ગાંધી, પુણ્ય શાળી પિતા અને રત્નકુક્ષિણી માતા કુંવરબાઈના આંગણે થયો. માતાને સિંહનું સ્વપ્ન દર્શન થયેલ. બાલ્યવયમાં માતા- પિતા અવસાન પામ્યા. ૧૧ વર્ષની વયે વૈરાગ્ય જાગ્યો. વિ.સં.૧૯૨૮માં પોષ વદ-૮ના દીક્ષાગ્રહણ કરી ગોંડલ સંપ્રદાયના પંચમ આચાર્ય પૂ.દેવજી સ્વામીના શિષ્યરત્ન બન્યા દીક્ષા માંગરોળ મુકામે થઈ. ત્યારબાદ તુરંત વડિલબંધુ પૂ.જયચંદ્રજી મહારાજ સાહેબની દીક્ષા પણ માંગરોળમાં થઈ અને આમ જય- માણેક બંધુ બેલડીથી ગોંડલ સંપ્રદાયના શોભાયમાન બનવા લાગ્યો. વિશેષ જ્ઞાન ઉપાર્જન માટે મારવાડમાં કિસનગઢમાં સમર્થ યોગીરાજ પ્રખરશાસ્ત્રોવેતા પૂ.ફકી રચંદ્રજી મહારાજ સાહેબ બિરાજમાન હતા.ત્યાં તેમના સાનિધ્યમાં જ્ઞાન ઉપાર્જન અને વિશેષ સાધના અને સિધ્ધિઓ પ્રાપ્ત કરી.

દીક્ષા લેતા જ સદંતર પાણીનો આજીવન ત્યાગ, દરેક મિઠાઈ, મેવા- મુખવાશનો ત્યાગ, કેરીનો સર્વપાત્યાગ પ્રતિદિન આઠ દ્રવ્ય જ ભોજનમાં લેવા વૃતિસંક્ષેપ, ૧૨ વર્ષછ પર્યંત છાશમાં કાચો લોટ ભેળવીને સંયમ નિર્વાહ કર્યો. ૧૮માસ પર્યંત છાસમાં લાકડાનો વેર (ભુસુ) ભેળવીને આહાર કર્યો. બે કલાકથી વધુ નિદ્રાનો ત્યાગ ગરમ ધગધગતી રેતી ઉપર આતાપના લેતા. ઠંડીમાં રાત્રે હાથ ઉંચા રાખી અલ્પવસ્ત્રમાં ધ્યાનસ્થ બની જતા. એક જ આસન પર ત્રણ કલાક જપ અને સ્વાધ્યાયનો અખંડનિયમ પાલન કરતા આવી તો અનેક ઉગ્ર સાધના અને તપશ્ચર્યા જેમના જીવનનું અભિન્ન અંગ હતી.

એક દેવ તેમને આધીન હતા. જે રોજ રાત્રે તેમની સેવામાં ઉપસ્થિત થતા હતા. શાસન રક્ષા, સંતરક્ષા માટે વેરાવળથી ગોંડલ સુધીનો ૧૧૦ માઈલનો વિહાર પાંચ કલાકમાં  પોરબંદરથી રાજકોટ સુધીનો ૧૨૦ માઈલનો વિહાર ચાર કલાકમાંૅ કર્યો હતો. આવી  તો અનેક સિધ્ધિઓ હોવા છતાં તેમણે પ્રસિધ્ધિ માટે કાંઈ જ ન કર્યુ તે તેમની મહાનતા હતી. પ્રસિધ્ધથી દૂર જ રહ્યા સૌરાષ્ટ્રમાં પાઠશાળાઓનો  પ્રારંભ કર્યો. સૌરાષ્ટ્ર, કચ્છ, મુંબઈ, રાજસ્થાન, મારવાડ, પંજાબમાં વિચરણ કર્યુ. તપસ્વી ગુરૂદેવ શિષ્ય મંડળ સહિત ઠાણા- પાંચનું મુંબઈમાં પ્રથમવાર ચાતુર્માસ ચીંચપોકલીમાં વિ.સ.૧૯૬૬માં થયું. ત્યારે ત્યાં લાકડાનો ઉપાશ્રય હતો. બીજા કોઈ ઉપાશ્રય મુંબઈમાં ન હતા. વિ.સં.૧૯૬૭નું ચાતુર્માસ કાંદાવાડીમાં કચ્છી સમાજની વાડીમાં થયુ. મુંબઈ કાઠિયાવાડ પધારતા પ્રથમ અમરેલી પધાર્યા ત્યાં નવદીક્ષિત પૂ.ફૂલકુંવરભાઈ જે પૂ.દેવકુંવરબાઈની સમીપે દીક્ષિત થયેલ તેમને ત્યાં વિ.સ.૧૯૬૭માં વડીદીક્ષા આપી.

વિ.સ.૧૯૭૯ કારતક વદ- તેરસને બુધવારની રાત્રે નવથી બાર ધ્યાન પછી નિદ્રાધીન બન્યા. ત્યારે રાત્રે બે વાગ્યે દેવ પ્રગટ થયા અને નિદ્રામુકત કરાવીને જીવનની અંતિમ ઘડીનો સંકેત કર્યો. ૧૯ દિવસનું આયુષ્ય જ શેષ છે. એ જાણી ત્યારે જ રાત્રે અઢી વાગ્યે વડીલબંધુ પૂ.જયચંદ્રજી મ.સા.ને જાગૃત કર્યો. પરિસ્થિતિથી વાકેફ કર્યા.

વિ.સં.૧૯૭૯ માગસર સુદ- પૂનમને રવિવારે પરોઢિયે નશ્વર દેહનો ત્યાગ કરી તેમનો આત્મા દિવ્ય લોક ગામી બન્યો. જન્મભૂમિ જ નિર્વાણ ભૂમિ બની. જયાં પ્રથમશ્વાસ લીધો હતો તે જ પુણ્યધરા અંતિમ શ્વાસ છોડયો. જેતપુરની પાઠશાળાનીએ પાવન ભૂમિ પર સંથારો કર્યો હતો. નશ્વર દેહની અગ્નિ સંસ્કારવિધિ ફૂલચંદભાઈ ગાંધીની વાડીમાં પાલખીયાત્રા પહોંચી હજારો ભકતોની ભીડમાં પૂ.ગુરૂદેવના જમણા પગના અંગુઠો સ્વયંભૂ અગ્નિ પ્રગટ થયો. તે સમાધિસ્થાન જયાં આજે તપસ્વીજીનો આશ્રમ, તપસીજીની ઓરડી તરીકે પ્રખ્યાત છે. જયાં અઢારે વર્ણના લોકોની મનોકામના પૂર્ણ થાય છે. તપસી ગુરૂદેવ તો જાગતા દેવ છે.

(4:03 pm IST)