રૂખડીયાપરામાં ત્યજી દેવાયેલુ નવજાત બાળક મળ્યું: માથા-હાથનો ભાગ જનાવર ખાઇ ગયા
પાસે બાળકને ત્યજી દેનાર માથા-પિતા કે વાલી સામે ગુનો નોંધી તપાસ આદરી
રાજકોટ તા. ૧૦: રૂખડીયાપરામાં મસ્જીદે મુસ્તુફાની સામેની શેરીમાંથી ત્યજી દેવાયેલુ નવજાત બાળક મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બાળકના માથા અને ડાબા હાથનો ભાગ જનાવર ખાઇ ગયા હતાં. મૃત બાળક પડ્યું હોવાની જાણ થતાં પ્ર.નગરના પીએસઆઇ આર. એન. હાથલીયા, એએસઆઇ હરેશભાઇ રત્નોતર સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને તપાસ કરી હતી. બાળક જીવીત હતું ત્યારે ફેંકી દેવાયું હતું કે મૃત હાલતમાં જ? તે અંગે તથા આ નવજાતને કોણે ફેંકયું? તે અંગે તપાસ શરૂ થઇ છે. પોલીસે આઇપીસી ૩૧૭ મુજબ બાળકને ત્યજી દેવા અંગે અજાણ્યા માતા-પિતા કે વાલી સામે ગુનો નોંધ્યો છે. કોઇની પાસે આ બાળક વિશેની માહિતી હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧-૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. માહિતી આપનારનું નામ પોલીસ ગુપ્ત રાખશે.