કાલે રાજકોટમાં પાસ ની વિશાળ રેલી : જસદણ પેટાચૂટણીંમાં હાર્દિક અને અલ્પેશ સક્રિય થવાની અટકળ
ખોડલધામમાં રાત્રી રોકાણ :કોંગી ઉમેદવાર અવસર નાકીયા માટે પ્રચારમાં ઝુકાવે તેવી શકયતા
રાજકોટ: સુરતની જેલમાંથી મુક્ત થયા બાદ અલ્પેશ કથિરિયા અને હાર્દિક પટેલ સહિત PAAS ટીમ દ્વારા સંકલ્પયાત્રા શરૂ કરાયેલ સંકલ્પયાત્રા બોટાદ ખાતેના સાળંગપુર હનુમાન મંદિરે પહોચી હતી. જ્યાં અલ્પેશ અને હાર્દિકે હનુમાનજીના દર્શન કર્યા હતા. મંદિરના કોઠારી સ્વામીએ હાર પહેરાવી આશીર્વાદ આપ્યા હતા. આ સમયે PAASના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.કાલે રાજકોટમાં પાસ દ્વારા વિશાળ રેલી યોજવામાં આવનાર છે.
સંકલ્પયાત્રા આજે રાજકોટ નજીકના કાગવડ ખોડલધામ ખાતે પહોંચી છે જ્યાં હાર્દિક અને અલ્પેશ રાત્રી રોકાણ કરશે. ત્યારબાદ મંગળવારે સવારે રાજકોટમાં પાસની વિશાળ રેલી યોજાશે.
PAASના કન્વીનર હેમાંગ પટેલે જણાવ્યા મુજબ, સવારે 10 વાગ્યે હાર્દિક-અલ્પેશની હાજરીમાં શહેરના પુનીતનગર પાણીના ટાંકા ખાતેથી રેલી શરૂ થશે. બાદમાં 150 ફૂટ રિંગરોડ ઉપર ઉમિયા ચોક, બાપા સિતારામ ચોક, મવડી ચોકડી, બાલાજી હોલ થઇને સ્વામિનારયણ ચોક ખાતે રેલીનું સમાપન થશે.
દરમિયાન જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ દ્વારા 35 સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારવમાં આવનાર છે. ત્યારે ખોડલધામ ખાતે રાત્રિ રોકાણ દરમિયાન હાર્દિક અને અલ્પેશ જસદણ વિધાનસભાની ચૂંટણીમાં સક્રિય થવાનું અને અવસર નાકિયા માટે પ્રચાર કરવાનું આયોજન કરે એવી પણ શક્યતા છે.