રાજકોટ
News of Thursday, 10th October 2019

જનધન ખાતાના ખાતેદારોની લાખોની રકમની ઉચાપત કરવા અંગે એન.આઇ.સી.ટી.ના અધિકારીના આગોતરા જમીન રદ

ખાતેદારોના અંગુઠાની બાયોમેટ્રિક પ્રિન્ટના આધારે તેઓના ખાતામાંથી ૨૩ લાખ આરોપીએ ઉપાડી લીધેલ

રાજકોટ તા ૧૦  : રાજકોટના એડિશ્નલ સેશન્સ જજે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના જનધન ખાતાધારકોના ખાતાનું ઓપરેટીંગ કરનાર એન.આઇ.સી.ટી. કંપનીના અધિકારી ગોૈરવ સતીષભાઇ પંડયાની આગોતરા જામીન અરજી રદ કરતા ઠરાવેલ છે કે, આરોપીએ રૂ.૨૩ લાખની ઉચાપતના આક્ષેપો સામે તપાસનીસ અમલદાર સમક્ષ હાજર થઇ વિગતો આપવાના બદલે નાસતા ભાગતા ફરે છે. તેથી તેઓ આગોતરા જમીન મેળવવા હક્કદાર નથી.

આ કેસની હકીકત એવા પ્રકારની છે કે, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં હજારો જનધન ખાતાધારકો છે.  જેઓની સગવડતા માટે બેન્કે એન.એ.સી.ટી. કંપની સાથે એગ્રીમેન્ટ કરી આ ખાતાધારકોને પૈસા ઉપાડવા કે જમા કરાવવા માટે સગવડતા આપવા માટે જુદા જુદા ગ્રાહક સુવિધા કેન્દ્રો ખોલેલ છે. આ માહેનું એક કેન્દ્ર મારૂતિનંદન કોમ્પલેકસ, ભકિતનગર સર્કલ પાસે આવેલું છે, જેમાં આરોપી ગોૈરવ સતીષભાઇ પંડયા નોકરી કરે છે. આરોપીની  ફરજોમાં જે ગ્રાહકો પૈસા જમા કરાવવા માંગતા હોય કે ઉપાડવા માંગતા હોય તેઓ આ કેન્દ્ર ઉપર જઇ પોતાના અંગુઠાની બાયોમેટ્રીક પ્રિન્ટ આપે ત્યારે તેમના ખાતામાં જે વ્યવહાર કરવો હોય તે થઇ શકે. આ મુજબ પધ્ધતિ હોવાથી, પધ્ધતિનો ગેરલાભ ઉઠાવી આરોપી ગોૈરવ પંડયાએ વિવિધ ખાતાધારકોને તેઓના ખાતા અંગે વિગતો આપવાના બહાને કેન્દ્ર ઉપર બોલાવેલ અને તેમના અંગુઠાની બાયોમેટ્રિક પ્રિન્ટ લઇ તેઓના ખાતામાંથી પૈસા ઉપાડી લીધેલ.

આ ઉપરાંત જે ખાતાધારકો ખાતામાં પૈસા જમાં કરાવવા આવેલ હોય તેમના ખાતામાં પૈસા જમા કરવાને બદલે આ રકમ આરોપી પોતાની પાસે રાખી લેતા. આ પ્રકારના ગેરવહીવટની જાણ જુદા જુદા ખાતાધારકોને થતાં તેઓએ એન.આઇ.સી.ટી. ટેકનોલોજી પ્રા.લિ.માં ફરીયાદ કરેલ જે આધારે કંપનીએ ભકિતનગર પોલિસમાં ફરીયાદ નોંધાવેલ હતી. આ ફરીયાદની તપાસ દરમ્યાન તપાસનીશ અમલદાર ધાંધલીયાએ વિવિધ ખાતાધારકોના નિવેદનો તેમજ તેઓના ખાતાની પાસબુક મેળવેલ જે જોતાં જે તે તારીખોએ તેઓના ખાતામાંથી  પૈસા ઉપડી ગયેલ હતા અથવા તો જમા થયેલ ન હતાં. આ પ્રકારની તપાસની જાણ થતાં આરોપી ગોૈરવ સતીષભાઇ પંડયા પોતાના રહેણાંકેથી નાસી ગયેલ અને ત્યારબાદ આગોતરા જમીન અરજી રજુ કરેલ હતી.

જામીન અરજીની સુનાવણી દરમ્યાન શ્રી સરકાર તરફે રજુઆત કરવામાં આવેલ કે, રૂા ૨૩ લાખની ઉચાપતનો આક્ષેપ હોય અને વિવિધ ખાતાધારકોએ આ અંગેની વિગતો તપાસનીશ અમલદાર સમક્ષ રજુ કરેલ હોય ત્યારે આરોપીએ પોલીસ સમક્ષ હાજર થઇ તેઓએ કરેલ વ્યવહારની વિગતો સાથે સ્પષ્ટતા કરવા ઉપસ્થિત રહેવું જોઇએ. પરંતુ આ આરોપી પોલીસ તપાસથી દુર ભાગી જઇ પોતે નિર્દોષ હોવાના રટણો કર્યા કરે તેથી તેઓ ગુન્હેગાર હોવાનું પ્રાથમિક રીતે માનવાને કારણ છે. આ ઉપરાંત જયારે અનેક ખાતાધારકો પોતાના ખાતાના વ્યવહારો અંગે ઉચાપતની ફરીયાદ કરતા હોય અને જવાબદાર અધિકારી તરીકે આરોપી ગોૈરવ પંંડયા જ હોય ત્યારે ખાતાધારકોની ફરીયાદને ખોટુ માનવા માટે કોઇપણ પ્રકારના કારણ રહેતા નથી. શ્રી સરકાર તરફેની આ રજુઆતોને ધ્યાને લઇ સેશન્સ જજે આરોપી ગોૈરવ પંડયાની આગોતરા જામીન અરજી રદ કરેલ છે. આ કામમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ શ્રી સંજયભાઇ કે. વોરા રોકાયેલ છે.

(3:33 pm IST)