ગણેશ મહોત્સવ અંતિમ ચરણમાં : વિસર્જન યાત્રાઓનો ધમધમાટ : ફાયરમેનો સજજ કરાયા
રાજકોટ : ગણેશ મહોત્સવ ધીરેધીરે અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યો છે. કોઇએ પાંચ કે સાત દિવસનું સ્થાપન કર્યુ હોય તેવા ગણેશજીને માનભેર વિસર્જનયાત્રા સાથે વિદાય અપાઇ છે. શહેરના જળાશયોમાં વરસાદી વાતાવરણ વચ્ચે વાજતે ગાજતે મૂર્તિ વિસર્જન થઇ રહ્યુ છે. કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે માટે ફાયરબ્રીગેડના જવાનોને પણ સજજ કરવામાં આવ્યા છે. જરૂર જણાય તેવા સ્થળોએ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. ખાસ કરીને રવિવારે આજી ડેમ પાસેની ખાણ, પાળ પાસેનું તળાવ, વાગુદડના રસ્તે આવેલ જળાશય, હનુમાન ધારા સહીતના વિસ્તારોમાં ગણેશ મૂર્તિ વિસર્જન કરવા ભારે ભીડ જામી હતી. હવે ગુરૂવારે મહોત્સવનો અંતિમ દિવસ હોય વિસર્જન યાત્રા માટે ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. ભારે હૈયે દુંદાળા દેવને વિદાય અપાશે. ત્રણ, પાંચ કે સાત દિવસના સ્થાપન સ્થળોએથી વિસર્જન યાત્રાઓ યોજાઇ હતી. તે દ્રશ્યો તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)