જમીન-સંપાદન કેસની સુનાવણી માટે રાજકોટ સ્પે. મુકાયેલા ખાસ પ્રમુખ અધીકારી ચારણે ચાર્જ સંભાળ્યોઃ હાલ કલેકટર કચેરીમાં બેસશે
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ૧ર જીલ્લાના અંદાજે ૧ હજારથી વધુ કેસો અંગે હવે રોજ રોજ સુનાવણી : એક મામલતદાર-બે નાયબ મામલતદાર સહિતનો સ્ટાફ ફાળવાયોઃ ર૦૧૩ પછીના કેસોની સુનાવણી થશે
રાજકોટ તા. ૧૦: રાજય સરકારે તાજેતરમાં ગુજરાતના પાંચ ઝોનમાં જમીન સંપાદન અંગેના હજારો કેસોની સુનાવણી હાઇલેવલ કક્ષાના પ થી વધુ સ્પે. પ્રમુખ અધીકારીઓની નિમણુંક કરી હતી, રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છના જમીન સંપાદન કેસો ચલાવવા-સુનાવણી અંગે શ્રી વી. ડી. ચારણ મુકાયા હતા.
આજે આ પ્રમુખ અધિકારી શ્રી ચારણે ચાર્જ સંભાળી લીધો હતો, આ સમયે કલેકટર એડી. કલેકટર વિગેરે હાજર રહ્યા હતા, હાલ તેમને કલેકટર કચેરીના બીજા માળે, મધ્યાહન ભોજન યોજનાની જે કચેરી છે તે ડે. કલેકટરશ્રીની ચેમ્બર અને કચેરી ફાળવાઇ છે.
શ્રી ચારણને તેમની સાથે એક મામલતદાર, બે નાયબ મામલતદાર, સ્ટેનોગ્રાફર, પટ્ટાવાળા, ડ્રાઇવર, કારકૂન સહિતનો પણ સ્ટાફ ફાળવી દેવાયો છે.
અત્રે એ નોંધનીય છે કે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં જમીન સંપાદન અને તેના જે એબોર્ડ થયા હોય અને તેની સામે અપીલ વધુ વળતર સહિતની માંગણીઓ અંગેના ૧ર જીલ્લાના હજારો કેસો પેન્ડીંગ છે, આ તમામ કેસોની કલેકટર કચેરીમાં પ્રથમ માળે કલેકટરનું જયાં બોર્ડ ચાલે છે, તે બોર્ડમાં બુધવાર સિવાય દરરોજ સુનાવણી થશે, અને ર૦૧૩ વર્ષ પછીના અંદાજે ૧ હજારથી વધુ કેસોની સુનાવણીની શકયતા છે.