રાજકોટ
News of Monday, 10th August 2020

ઠેબચડાના પ્રોઢની હત્યાના ૭ આરોપીઓના જામીન અરજી નામંજુર કરતુ સેશન્સ કોર્ટ

રાજકોટઃ તા.૧૦, રાજકોટ તાલુકાના ઠેબચડા ગામે જમીનનાં વિવાદમાં ગરાસીયા ખેડુતો પર કરાયેલા હુમલામાં ઘવાયેલા ગરાસીયા પ્રૌઢની હત્યાના ગુનામાં સાત આરોપીએ સેશન્સ કોર્ટમાં જામીન પર છુટવા કરેલી અરજી ફગાવી દેવામાં આવી છે

વધુ વિગત મુજબ શહેરના ભાવનગર રોડ પર આવેલા ઠેબચડા ગામે ગત તા.૩૦ના રોજ રક્ષણ માટે મુકાયેલી પોલીસની હાજરીમાં ખેડુતની પોતાની જ વાડીમાં કોળી જુથ દ્વારા તિક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવેલા હુમલામાં લગધીરસિંહ નવુભા જાડેજા નામના ૫૭ વર્ષના ગરાસીયા પ્રૌઢની હત્યા થઈ હતી. જયારે અન્ય બે ઘવાતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતા.

આ બનાવમાં આજી ડેમ પોલીસ મથકના સ્ટાફે હરેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદના આધારે મગન બીજલ રાઠોડ, મહેશ છગન રાઠોડ, ખોડા છગન રાઠોડ, સંજય મગન રાઠોડ, લક્ષમણ લાલજી રાઠોડ, લાભુબેન છગનભાઈ રાઠોડ, દેવુબેન મગનભાઈ રાઠોડ, દક્ષાબેન લક્ષમણભાઈ રાઠોડ, કાન્તાબેન રમેશભાઈ રાઠોડ, કલ્પેશ ભીખુ સોલંકી, સંજય ભીખુ સોલંકી, નાથા જેરામ, ખીમજી નાથાભાઈ, ભુપત નાથાભાઈ, રોનક નાથાભાઈ, પોપટ વશરામભાઈ, કેશુબેન વશરામભાઈ, ચનાભાઈ વશરામભાઈ, સામજી બચુભાઈ, અક્ષીતભાઈ છાયા સામે ગુનો નોંધી ૧૫ શખ્સોની ધરપકડ કરી હતી.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે હરેન્દ્રસિંહ સહિતના ખેડૂતની પોતાની જમીનનો કેસ સુપ્રીમ કોર્ટમાં જીતી ગયેલા તે જમીનમાં નહીં જવા દેતા પોલીસને જાણ કરતા પોલીસે આરોપીઓને સમજાવેલ છતાં નહીં સમજતાં વાતાવરણ તંગ જણાતા પોલીસે વધારાનો સ્ટાફ બોલાવેલ અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા પ્રયત્ન કરતા ત્યારે કોળી જુથ દ્વારા પોલીસની હાજરીમાં બનાવ બનેલ હતો. દરમિયાન જેલમાં રહેલા આરોપીઓ પૈકી સંજય મગન રાઠોડ, ખોડા છગન રાઠોડ, લક્ષ્મણ વાલજી રાઠોડ,  કલ્પેશ ભીખુ સોલંકી, સંજય ભીખુ સોલંકી, ભુપત નાથા વાઢેર, રોનક નાથા વાઢેર વગેરે સાત આરોપીઓએ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી.

જેમાં બંને પક્ષોની દલીલોનાં અંતે દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈ અધિક સેશન્સ જજ એ.વી. હિરપરાએ સાતેય આરોપીઓની જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે.

આ કેસમાં સરકાર પક્ષે સ્પેશ્યલ પી.પી. અનિલ દેસાઈ અને મૂળ ફરિયાદીના એડવોકેટ રૂપરાજસિંહ પરમાર અને મનીષભાઇ પાટડીયા રોકાયા છે.

(3:38 pm IST)