રાજકોટ
News of Friday, 10th August 2018

'ઓમ ત્ર્યંબકમ યજા મહે સુગંધીમ પુષ્ટિ વર્ધનમ્, ઉર્વા ઋકમિવ બંધનાત્ મૃત્યોર્મુક્ષીય મામૃતાત્'

હર હર મહાદેવ... રવિવારથી શ્રાવણ માસનો શુભારંભ

શિવમંદિરોમાં અનેરા શણગારની તૈયારીઓ શરૂ : દરરોજ આરતી પુજન અને પુષ્પ, જળ, દુધ, બિલીપત્રનો અભિષેકના ઘડાઇ રહેલ આયોજનો : રાત્રે દિપમાળા અને સત્સંગ કાર્યક્રમો ધમધમશે : શિવજીને ભજવા ભકતો અધીરા

રાજકોટ તા. ૧૦ :  આગામી તા. ૧૨ ના રવિવારથી પવિત્ર શ્રાવણ માસનો આરંભ થઇ રહ્યો છે. શહેર આખુ શિવની ભકિતમાં રસતરબોળ થશે. હર હર મહાદેવ, ઁ નમઃ શિવાય, બમ બમ બોલેના નાદોથી શિવાલયો ગુંજી ઉઠશે.

 

આખો શ્રાવણ માસ જલાભિષેક, દુગ્ધાભિષેક, બિલ્વાભિષેક, લઘુરૂદ્રી, મહારૂદ્રી, પાઠ, પૂજા, દીપમાલા, આરતી સત્સંગના કાર્યક્રમો ધમધમતા રહેશે. શહેરના વિવિધ મંદિરોમાં શ્રાવણ માસને લઇને આયોજીત કાર્યક્રમોની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.

રામેશ્વર મહાદેવ મંદિરે સત્સંગ-દિપમાલા-ધૂન

રૈયા રોડ જીવનનગર શેરી નં.૪ ખાતે આવેલ જીવનનગર વિકાસ સમિતિ સંચાલિત રામેશ્વર મહાદેવ મંદિરે આખો શ્રાવણ માસ દરરોજ પરોઢથી રાત સુધી શિવપૂજા, અર્ચન, રૂદ્રાભિષેક, મહાઆરતી, દીપમાલા, ભજન, ધૂન સહીતના કાર્યક્રમો થશે. અહીં અભિષેક માટે શિવજીને પ્રતિકરૂપ દુધ ચડાવી બાકીનું દુધ વાસણમાં એકત્ર કરી અશકત વૃધ્ધો અને ગરીબોને વિતરણ કરવામાં આવશે. દુધનો બગડા અટકાવી સદ્દઉપયોગનો રાહ ચિંધાશે. શ્રાવણમાં આવતા વિવિધ ઉત્સવોની ભાવભેર ઉજવણી કરાશે. હિંડોળા ઉત્સવ, જન્માષ્ટમી ઉત્સવ સહીતના કાર્યક્રમો થશે. કાર્યવાહક વ્યવસ્થાપક વિજયભાઇ જોબનપુત્રાની આગેવાની નવીનભાઇ પુરોહીત, જેન્તીભાઇ જાની, ગોવિંદભાઇ ગોહેલ, વી. સી. વ્યાસ પુજારી ભુપેન્દ્રભાઇ ભટ્ટ તેમજ મહિલા સત્સંગ મંડળના બહેનો સેવા આપી રહ્યા છે.

ગીતા વિદ્યાલય ટ્રસ્ટ

જંકશન પ્લોટ ખાતે આવેલ ગીતા વિદ્યાલય ટ્રસ્ટના ગીતા મંદિરમાં બિરાજતા શ્રી રામેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ માસ નિમિતે બિલ્વપત્ર અભિષેક, ઓમ આકારની ૧૦૮ દીપમાળા આરતી, સત્સંગ ભજન,  સામુહિક રૂદ્રાભિષેક, શિવપુરાણ કથા વાંચન સહીતના કાર્યક્રમો આયોજીત કરાયા છે. સમગ્ર મંદિરેને ધજા, પતાકા, લાઇટીંગ ડેકોરેશનથી સુશોભિત કરાયુ છે.

ચિત્રકુટધામ રામજી મંદિર

ભકિતનગર સર્કલ, ધર્મજીવન સોસાયટી-૪ માં આવેલ ચિત્રકુટધામ રામજી મંદિરે રવિવારથી શરૂ થઇ રહેલ શ્રાવણ માસ દરમિયાન નિત્ય શ્રી રામચરિત માનસ નવાન્હ પારાયણ પાઠ સવારે ૮.૩૦ કલાકે, ષોડષોપચાર પૂજન ૧૦.૩૦ થી ૧૨.૩૦ સુધી થશે. નર્મદેશ્વર મહાદેવજીનું પૂજન અર્ચન અને શણગાર મહાઆરતી થશે. ભાવિકોને પવિત્ર શ્રાવણમાં નિત્ય દર્શનનો લાભ લેવા શ્રી ગોકર્ણદાસજી મહારાજ (મો.૯૬૦૧૯ ૫૩૯૦૫) એ અનુરોધ કરેલ છે.

નટેશ્વર મહાદેવ મંદિરે પાટોત્સવની ઉજવણી

રાજકોટ તા. ૧૦ : કોઠારીયા કોલોનીમાં ૮૦ ફુટ રોડ ઉપર આવેલ શ્રી નટેશ્વર મહાદેવ મંદિરે તાજતેરમાં પાટોત્સવની ભાવભેર ઉજવણી કરાઇ હતી. ચોખા અને કલર દ્વારા દ્વાદશ લીંગનું મંડળ રચી વિદ્વાન બ્રાહ્મણો દ્વારા હોમાત્મક અભિષેકાત્મક લઘુરૂદ્ર યજ્ઞ કરવામાં આવેલ. મંદિરના શાસ્ત્રી તરીકે ભરતભાઇ જોશી (સરધારવાળા) તેમજ પુજારી તરીકે શાસ્ત્રી શૈલેષભાઇ પંડયા, ટ્રસ્ટ મંડળમાં હરૂભાઇ તેજુભા જાડેજા, સુરૂભા નટુભા જાડેજા, ભરતસિંહ જાડેજા, નટવરસિંહ અમરસિંહ સરવૈયા, વિરભદ્રસિંહ માવુભા જાડેજા, ચેતનભાઇ સોલંકી વગેરે સેવા આપી રહ્યા છે.(૧૬.૧)

રંગનાથ મંદિરે સવાલાખ રૂદ્રાક્ષના શિવલિંગ

રવિવારથી શ્રાવણ ઉત્સવઃ શિવ મહાપુરાણ કથાઃ દરરોજ મહાઅભિષેક-મહારુદ્રયાગઃ રાત્રે ધૂન-ભજન-સંતવાણી

રાજકોટ તા.૧૦: રવિવારથી શ્રાવણ માસનો મંગલારંભ થઇ રહયો છે. રાજકોટની ભાગોળે રંગપર ગામ પાસે રંગનાથ મહાદેવ મંદિરે વિશેષ શિવ સાધનાનું આયોજન કરવામાં આવ્યું છે.

પૂ. ભાસ્કરદાદાના દિવ્ય સાનિધ્યમાં સવા લાખ રૂદ્રાક્ષના શિવલિંગનું નિર્માણ કરાયું છે. તા. ૧૨ રવિવારથી તા. ૯/૯ સુધી દરરોજ સવારે ૭:૩૦ થી ૯ વાગ્યા સુધી રૂદ્રાક્ષના શિવલિંગ પર મહાઅભિષેક થશે.

દરરોજ સવારે ૮ થી ૧ વાગ્યા સુધી મહારૂદ્રયાગ યોજાશે. ઉપરાંત દરરોજ સાંજે ૩ થી ૬:૩૦ વાગ્યા સુધી શિવમહાપુરાણ કથા થશે. દરરોજ રાત્રે ૯ વાગ્યાથી ધૂન-ભજન-રાસ અને સંતવાણી જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. સમગ્ર આયોજનનો લાભ લેવા ભાસ્કરભાઇ તથા રંગપર ગ્રામજનોએ નિમંત્રણ આપ્યું છે.

ઉત્સવ અંગે વધારે માહિતી માટે નરેશભાઇ(૯૮૭૯૮ ૯૨૯૮૧), સુહાસભાઇ (૯૯૯૮૭ ૨૩૦૪૭, ૯૯૭૯૯ ૨૧૯૩૧, ૯૯૧૩૧ ૩૧૩૩૦) નંબરો પર સંપર્ક થઇ શકે છે.(૧.૨૩)

(4:02 pm IST)