શહેરમાં ૨.૩૩ લાખ બાળકોને ઓરી અને રૂબેલાની રસી અપાઇ
બંછાનિધી પાનીએ દિકરી શ્રીનીકા પાનીને શાળામાં ઓરી અને રૂબેલાની રસીકરણ કરાવી : બાકી રહેલા બાળકોને રસીકરણ કરાવવા વાલીઓને મ્યુનિ. કમિશ્નરની અપીલ
રાજકોટ તા. ૧૦ : ગુજરાત રાજયમાં ૧૬ જુલાઈ થી પ્રારંભ થયેલ આરોગ્યલક્ષી કાર્યક્રમ 'ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાન'નું રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં તાલીમબધ્ધ સ્ટાફ દ્વારા ૮૦૦ થી વધારે શાળાઓમાં ૯ માસ થી ૧૫ વર્ષના બાળકોને ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાન સઘન રીતે ચાલી રહ્યું છે. જેમાં આજ રોજ એસ.એન.કે સ્કૂલમાં મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીએ દીકરી શ્રીનીકા પાનીને શાળામાં ઓરી અને રૂબેલા રસીકરણ કરાવી આ અભિયાન વિશ્વસનીયતા અને સલામત અંગે આ અભિયાનને ટેકો આપેલ છે. આ અંગે મ્યુનીસીપલ કમિશનરે રાજકોટવાસીઓને ૯ માસ થી ૧૫ વર્ષના તેમના વ્હાલસોયાને ઓરી અને રૂબેલા રસીકરણ કરાવવા અપીલ કરેલ હતી. રાજકોટ શહેરને ઓરી અને રૂબેલા મુકત કરવા જાહેર જનતાને સહકાર આપવા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવેલ છે.
મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીના સતત માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગે આ અભિયાનની તૈયારી તથા લોકજાગૃતિમાં શ્રેષ્ઠ કામગીરી કરી ૧૬ જુલાઈથી શાળામાં ચાલુ થયેલ રસીકરણને સુવ્યવસ્થિત તથા સલામત રીતે અમલીકરણ ચાલુ કરેલ છે. આજ રોજ સુધીમાં રાજકોટ મહાનગરપાલિકાની ૧૭૫ વેકસીનેટર ટીમ દ્વારા કુલ ૨,૩૩,૧૫૧ બાળકોને એટલે કે ૬૬.૪૮% કામગીરી પૂર્ણ કરેલ છે. તેમ અંતમાં મ્યુ. કોર્પોરેશનના નાયબ આરોગ્ય અધિકારી ડો. પી.પી.રાઠોડે જણાવ્યું હતું.(૨૧.૩૧)