યાર્ડ પાછળ હુડકોમાં કડીયા વૃધ્ધ મનસુખભાઇનો ફાંસો ખાઇ આપઘાત
સવારે પત્નિ ઉઠ્યા ત્યારે પતિને લટકતાં જોયાઃ બિમારી કારણભુત
રાજકોટ તા. ૧૦: માર્કેટ યાર્ડ પાછળ હુડકો કવાર્ટર એલ-૧/૩માં રહેતાં મનસુખભાઇ ગોવિંદભાઇ કાચા (ઉ.૭૦) નામના કડીયા વૃધ્ધે ઘરમાં છતના હુકમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
મનસુખભાઇના ધર્મપત્નિ રસિલાબેન સવારે પોણા પાંચેક વાગ્યે ઉઠ્યા ત્યારે પતિને લટકતાં જોતાં અવાચક થઇ ગયા હતાં. તેણે પુત્ર કમલેશભાઇ સહિતનાને જગાડ્યા હતાં અને ૧૦૮ને જાણ કરી હતી. પણ તેના તબિબે મનસુખભાઇને મૃત જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો.
બી-ડિવીઝનને જાણ થતાં એએસઆઇ સુધાબેન પાદરીયા અને રાઇટર અશ્વિનભાઇએ ત્યાં પહોંચી કાર્યવાહી કરી હતી. મનસુખભાઇ બે ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં. તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. લાંબા સમયથી પેટની બિમારી હોઇ કંટાળી જઇ આ પગલુ ભરી લીધાનું તપાસમાં બહાર આવ્યું હતું.