રાજકોટ
News of Saturday, 10th April 2021

ઉંઘ નથી આવતું એવું રટણ કરતાં સુશાંતે ફાંસો ખાઇ કાયમને માટે આંખ મીંચી લીધી

બેડીનાકામાં બંગાળી યુવાનનો આપઘાતઃ માસુમ પુત્રએ પિતાનું છત્ર ગુમાવ્યું

રાજકોટ તા. ૧૦: બેડીનાકા નકલંક ચોક રાણીમા રૂડીમા મંદિરવાળી શેરી નં. ૨માં રહેતાં મુળ બંગાળના યુવાન સુશાંત જયદેભાઇ કોટાલ (ઉ.વ.૩૨)એ પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

બનાવની જાણ ૧૦૮ના ઇએમટી હિરેનભાઇ પટેલે કરતાં કન્ટ્રોલ રૂમના ઇન્ચાર્જ પીએસઆઇ બી. જે. કડછામેડમે એ-ડિવીઝન પોલીસને વાકેફ કરતાં પીએસઆઇ જે. એમ. ભટ્ટ સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર યુવાન પાંચ ભાઇમાં ચોથો હતો. સોની કામ કરી ગુજરાન ચલાવતો હતો. તેને સંતાનમાં એક પુત્ર છે. આગામી ૧૩મીએ તે વતન બંગાળ જવાનો હોઇ ટિકીટ પણ બૂક કરાવી હતી. પરંતુ ગત સાંજે મગજ ભમતો હોઇ દવા લઇને આવ્યા બાદ પત્નિ બીજા રૂમમાં ગઇ ત્યારે સુશાંતે ગળાફાંસો ખાઇ લીધો હતો.

તે કેટલાક સમયથી પોતાને ઉંઘ નથી આવતી તેવું પત્નિ સામે રટણ કરતો હોઇ દવા ચાલુ કરાવાઇ હતી. માનસિક ટેન્શનને કારણે આ પગલુ ભર્યાની શકયતા છે.

(12:49 pm IST)