રાજકોટ
News of Saturday, 10th February 2018

ફોન પર વાત બાબતે પતિ સાથે ઝઘડો થતાં પ્રિયંકાનો સળગી જઇ આપઘાત

ન્યુ શકિત સોસાયટીમાં બનાવઃ પતિ પણ ઠારવા જતાં દાઝયો

રાજકોટ તા. ૧૦: સામા કાંઠે ન્યુ શકિત સોસાયટી-૭માં રહેતી પ્રિયંકા સંતોષ શીવ (ઉ.૨૫) નામની બિહારી પરિણીતાને ફોન પર વાત કરવા બાબતે પતિ સાથે ઝઘડો થતાં માઠુ લાગી જતાં સળગીને આપઘાત કરી લીધો હતો.

પ્રિયંકાએ રાત્રે અગ્નિસ્નાન કરી લેતાં તેને ઠારવા જતાં પતિ સંતોષ શિવ પણ દાઝતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ પતિને પ્રાથમિક સારવાર અપાઇ હતી. જ્યારે પ્રિયંકાએ દમ તોડી દીધો હતો. થોરાળા પોલીસ મથકના એએસઆઇ જે. કે. જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રિયંકા દેરાણી સાથે ફોન પર વાત કરતી હતી ત્યારે પતિએ કોની સાથે વાત કરે છે? કહી શંકા કરતાં બંને વચ્ચે માથાકુટ થઇ હતી અને માઠુ લાગી જતાં તેણીએ અગ્નિસ્નાન કરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. તેણીના લગ્ન બે વર્ષ પહેલા થયા હતાં. પતિ વેલ્ડીંગ કામ કરે છે. બિહાર રહેતાં તેના વાલીને પોલીસે જાણ કરી રાજકોટ બોલાવ્યા છે. (૧૪.૧૩)

 

(3:00 pm IST)