રાજકોટ
News of Friday, 10th January 2020

ગુજરાતની યુનિવર્સિટીઓમાં પ્રાગ ઈતિહાસ અને આદ્યઈતિહાસના પરિસંવાદો યોજવા અતિ આવશ્યક

પુરાતત્વ અને પી.પી. પંડ્યાએ કરેલા કાર્યો વિશે પરિસંવાદ : દ્વારકાના દરીયામાંથી પ્રાચીન અવશેષો શોધાયા પણ તેને સાચવવામાં આપણે નિષ્ફળ રહ્યા : નરોતમભાઈ પલાણ

રાજકોટ, તા. ૧૦ : ઈતિહાસ અનુસ્નાતક ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ અને શ્રી જયાબહેન ફાઉન્ડેશન, રાજકોટના સંયુકત ઉપક્રમે પ્રસિદ્ઘ પુરાતત્વવિદ શ્રી પી. પી. પંડયાની જન્મશતાબ્દી વર્ષની ઉજવણીના ઉપલક્ષ્યમાં યુનિવર્સિટી સેનેટ હોલ ખાતે 'પુરાતત્વ અને શ્રી પી. પી. પંડયાએ કરેલા કાર્યો' વિષય પર વિદ્વતાભર્યો પરિસંવાદ યોજાયો. કાર્યક્રમના અધ્યક્ષપદે  ડો. નરેન્દ્રભાઈ દવે સૌરાષ્ટ્ર પ્રાંત સહ વ્યવસ્થા પ્રમુખ,   મુખ્ય વકતાપદે શ્રી નરોત્ત્।મભાઈ પલાણ જાણીતા સાહિત્યકાર, પુરાતત્વવિદ્ તથા પિયૂષભાઈ પંડયા જાણીતા એડવોકેટ, લેખક, કવિ, અતિથી વિશેષ પદે પરેશ પંડયા મેનેજીંગ ટ્રસ્ટી શ્રી જયાબહેન ફાઉન્ડેશન, હિમાંશુ પંડયા, ડે. મેયર જુનાગઢ મ્યુનિ. કોર્પોરેશન, ડો. નિદત્ત્।ભાઈ બારોટ ડીન, શિક્ષણ વિધાશાખા, ડો. ધરમભાઈ કામ્બલીયા, સિન્ડીકેટ સભ્યો ઉપસ્થીત રહેલ હતા.

ઉદ્દઘાટન પ્રવચન કરતા ડો. નરેન્દ્રભાઈ દવેએ આપણી પ્રાચીન સંસ્કૃતિ અંગે તલસ્પર્શી જાણકારી આપતો આ પરિસંવાદ યોજવા બદલ યુનિવર્સિટીને અભિનંદન આપી જણાવેલ કે આપણી ગૌરવપ્રદ પ્રાચીન સંસ્કૃતિને જાળવંવી અને તેનો યોગ્ય પ્રચાર કરવો, જીવંત રાખવી તે આપણી બધાની જવાબદારી છે અને તેથી આજનો આ કાર્યક્રમ અતિ મહત્વનો બની રહેલ છે.

પુરાતત્વવિદ્ શ્રી પી. પી. પંડયાનો પરિચય તેમના પુત્ર શ્રી પીયૂષભાઈ પંડયાએ આપતા પુરાતત્વવિદ્દના અભ્યાસ, આઝાદી લડત સમયની સક્રીયતા, એમ.એ. માં પુરાતત્વના બધા વિષયમાં મુંબઈ યુનિવર્સિટીમાં પ્રથમ આવેલ તે જણાવી પુરાતત્વ ખાતામાં જોડાઈ તેમણે પાસાણ યુગના રપ સ્થળો, હડપ્પન સંસ્કૃતિના ૬૫ સ્થળો (ટીંબાઓ), ૧૫૦૦ વર્ષ પ્રાચીન ક્ષત્રપ કાલીન ૧૧૦ સ્થળો, મૈત્રક કાલીન મંદિરો, ખંભાલિડા સહિત ચાર જુદી જુદી બૌદ્ઘગુફાના સંશોધનો કરેલ તેની વિગતો આપી જણાવેલ કે, લાખાબાવળમાં ઉત્ખનન સમયે પી. પી. પંડયાએ તે સમયના શિક્ષણ અને પુરાતત્વ ખાતાના પ્રધાનને લખેલ પત્રમાં જણાવેલ કે હું પુરાતત્વને વરેલો છું અને તે ક્ષેત્રમાં જ શહિદ થવા ઈચ્છુ છું.

આ ક્ષેત્રે રાત-દિવસ સંશોધન કાર્યો કરતા પી. પી. પંડયાનું ફકત ૩૯ વર્ષની યુવાન વયે અવસાન થયું. તેમણે તેમના સંશોધનો દ્વારા સૌરાષ્ટ્રને રાષ્ટ્રના પુરાતત્વના ઈતિહાસમાં ગૌરવભર્યું સ્થાન અપાવ્યુ અને તે કાર્યો કરવા તેમણે રાષ્ટ્રીય કક્ષાએ પુરાતત્વ વિભાગમાં ઉચ્ચ હોદ્દા પર મળેલ નિમણુક પત્રનો પણ અસ્વીકાર કરેલ.

વિદ્વાન અને પ્રખર વકતા શ્રી નરોત્ત્।મભાઈ પલાણે યુનિવર્સિટી અને તેના ઈતિહાસ ભવનને આ ઉત્ત્।મ કાર્ય બદલ હૃદયપૂર્વક અભિનંદન આપતા જણાવેલ કે ગુજરાતની દરેક યુનિવર્સિટીઓએ પ્રાગઈતિહાસ અને આદ્યઈતિહાસના આવા પરિસંવાદો યોજવા અતિ આવશ્યક છે. તેમણે જણાવેલ કે પુરાતત્વનના મહાન સંશોધનો થાય પછી જ તેનો ઈતિહાસ લખાય છે. જેથી સંશોધન થયેલ સ્થળોને જાણવા, જોવા અને તેને સાચવવા અતિ જરૂરી છે. આગળ જણાવેલ કે મેરા ભારત મહાન કહીએ તે બરાબર જ છે પણ તે આપણી આ પ્રાચીન વિરાસતને કારણે છે અને તે સાચવીશુ, તેનો અભ્યાસ કરીશુ અને કરાવીશુ તો જ ભારત મહાન રહેશે તે ભુલવુ જોઈએ નહી. -

નરોત્ત્।મભાઈ પલાણે જણાવેલ કે સૌરાષ્ટ્રમાં મુખ્ય ત્રણ પ્રાતત્વવિદ્દોએ કાર્ય કર્યું એક ભગવાનલાલ ઈન્દ્રજી જેમણે અશોકના શિલાલેખમાં રહેલ લિપિને ઉકેલી, બીજા ડો. એચ. ડી. સાંકળીયા જેઓ પછી પુના સ્થાઈ થયા અને ત્રીજા પી. પી. પંડયા જેમણે ભાદર અને આજી નદીની બન્ને બાજુએ આ કર્મવીર પુરાતત્વવિદ્દે સેંકડો કી.મી.નો પગપાળા પ્રવાસ કરી આપણી ગૌરવપૂર્ણ હજ્જારો વર્ષ પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરી. જેમાં ફલ્લા, લાખાબાવળ, આમરા, વસઈ, અલીયાબાળા, રોજડી, પીઠડીયા, આટકોટ, મોટી ધરાઈ, સોમનાથ (પ્રભાસ પાટણ) વિગેરે જગ્યાએ ઉત્ખનનો (ખોદકામ) કરી અમૂલ્ય પ્રાચીન વિરાસતો શોધી જે હજ્જારો વર્ષ પ્રાચીન હતી. ખંભાલીડાની બૌદ્ઘ ગુફા, બરડા અને ઉપરકોટની બૌદ્ઘ ગુફાઓની શોધ પી. પી. પંડયાએ કરી તેમણે ૧૦૦ વર્ષમાં થાય તેટલુ સંશોધન કાર્ય ૧૦ વર્ષમાં જ કર્યું. આ દરેક શોધાયેલ સ્થળોનો પ્રવાસ આજના પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓએ અવશ્ય કરવો જોઈએ, તેની જાણકારીની આપલે સતત થવી જોઈએ, આપણી આ અમૂલ્ય વિરાસતને યોગ્ય સાચવવી અતિ આવશ્યક છે. દ્વારકાના દરીયામાંથી ૧૦,૦૦૦ વર્ષ પ્રાચીન અવશેષો શોધાયા તેને બહાર કાઢી તેને સાચવવામાં આપણે નિષ્ફળ રહ્યા છીએ. અંતમાં તેમણે ગુજરાતની દરેક યુનિવર્સિટીઓ શિક્ષણ સંસ્થાઓએ આવા પરિસંવાદો દર વર્ષે કરવા જોઈએ તેમ જણાવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ કાર્યને બીરદાવી અભિનંદન આપેલ.

કાર્યક્રમમાં ઉપસ્થીત મહાનુભાવોએ કાર્યક્રમના અંતમાં પુરાતત્વવિદ્દ શ્રી પી. પી. પંડયા અને તેના અમૂલ્ય કાર્યોનું સન્માન કરવા કાર્યક્રમમાં ઉપસ્થીત પી. પી. પંડયાના પરિવારજનોને સન્માન પત્ર અર્પણ કરેલ હતું.

ઉપસ્થીત મહેમાનો અને સુજ્ઞ શ્રોતાજનોનું આદરપૂર્વક સ્વાગત ઈતિહાસ અનુસ્નાતક ભવનના અધ્યક્ષ ડો. પ્રફલ્લાબેન રાવલે કરેલ. સમગ્ર કાર્યક્રમનું ગરીમાપૂર્ણ શબ્દોમાં સંચાલન ડો. કલ્પાબેન માણેકે અને આભારવિધિ ડો. અનસુયાબેન ચોથાણી દ્વારા કરવામાં આવેલ હતી.

(3:59 pm IST)