એકલવાયા જીવનથી કંટાળી ઝેર પી લેનારા રામનાથપરાના અલ્પેશભાઇ મિરાણીનું મોત
કોઠારીયાની ન્યુ રામેશ્વર સોસાયટીમાં સુનિતાબેન પટેલ દાઝી ગયા
રાજકોટ તા. ૧૦: રામનાથપરા શેરી નં. ૩માં રહેતાં અલ્પેશભાઇ વિનુભાઇ મિરાણી (ઉ.વ.૪૨) નામના લોહાણા યુવાને ગઇકાલે સવારે રામનાથપરા સ્મશાનથી કેસરી પુલ તરફ જતાં રસ્તા પર કપિલા હનુમાનજી મંદિર નજીક ઝેરી દવા પી લીધી હતી. તેમનું સારવાર દરમિયાન આજે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
આપઘાત કરનાર અલ્પેશભાઇ બે ભાઇ અને બે બહેનમાં બીજા હતાં અને સંત કબીર રોડ પર ભંગારના ડેલામાં બેસી ધંધો કરતો હતાં. તેમના લગ્ન થયા નહોતાં. એકલવાયા જીવનથી કંટાળીને આ પગલુ ભર્યાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું.
બીજા બનાવમાં કોઠારીયા ગામ ખોડલધામ પાસે ન્યુ રામેશ્વર સોસાયટીમાં રહેતાં સુનિતાબેન અલ્પેશભાઇ રોકડ (પટેલ) (ઉ.વ.૪૦) દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં ચોકીના હેડકોન્સ. રાજુભાઇ ગીડા અને રવિભાઇએ આજીડેમ પોલીસને જાણ કરી હતી. પતિ અલ્પેશભાઇ જમીન-મકાન લે-વેંચનું કામ કરે છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ગેસ પર રસોઇ બનાવતી વખતે અકસ્માતે દાઝી ગયાનું જણાવાયું હતું.