ઘંટેશ્વર ૨૫ વારીયામાં 'કેમ અમારા ઘર પાસેથી નીકળ્યો?' કહી ઇમરાન સંધી પર ધોકાવાળી
અનિલ યાદવ, ખુશી યાદવ, કંચન યાદવ અને અરવિંદ મારવાડી તૂટી પડ્યા
રાજકોટ તા. ૧૦: ઘંટેશ્વર પાર્ક પાસે ૨૫ વારીયામાં રહેતાં રિક્ષાચાલક ઇમરાન મહમદભાઇ સકરીયાણી (ઉ.વ.૩૪) નામના સંધી મુસ્લિમ યુવાનને તે ઘર નજીક મેલડી માતાજીના મંદિર પાસેથી સાંજે નીકળ્યો ત્યારે ત્યાં જ રહેતાં અનિલ રમેશભાઇ યાદવ, ખુશી અનિલ યાદવ અને કંચન રમેશ યાદવ તેમજ અરવિંદ મારવાડીએ મળી ગાળો દઇ ધોકાથી માર મારતાં તેમજ ઢીકા-પાટુનો બેફામ માર મારતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
બનાવની જાણ થતાં ગાંધીગ્રામના પીએસઆઇ એમ. બી. જેબલીયાએ હોસ્પિટલે પહોંચી ઇમરાનની ફરિયાદ પરથી ચારેય હુમલાખોર સામે ગુનો નોંધ્યો હતો. ઇમરાનના કહેવા મુજબ પોતે અનિલ યાદવના ઘર પાસેથી પસાર થઇ લાલાભાઇ પાસે જુના કપડા લેવા માટે જતો હતો ત્યારે અનિલ સહિતનાએ ખોટી શંકા કરી તું કેમ અમારા ઘર પાસેથી નીકળે છે? તેમ કહી ગાળો દઇ હુમલો કર્યો હતો. પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.