આજીડેમ ચોકડીએ રહેતાં વિજયએ દેણું થઇ જતાં ફાંસો ખાધોઃ બચી ગયો
રાજકોટ તા. ૧૦: આજીડેમ ચોકડી પાસે તુર્કી બાપુની દરગાહ નજીક રહેતાં વિજય શામજીભાઇ પાટડીયા (ઉ.૩૬) નામના દેવીપૂજક યુવાને સાંજે પતરાની આડીમાં દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ લેતાં છોકરાઓ દેકારો કરવા માંડતાં લોકો ભેગા થઇ ગયા હતાં અને તેને નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં જીવ બચી ગયો હતો.
વિજયને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોતે આજીડેમ ચોકડીએ ચશ્મા વેંચી ગુજરાન ચલાવે છે. તેની પત્નિ સેજલના કહેવા મુજબ હાલમાં થોડુ દેણુ થઇ ગયું હોવાથી કંટાળીને વિજયએ આ પગલું ભર્યુ હતું. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાગડા અને ધર્મેશભાઇ ડાંગરે આજીડેમ પોલીસને જાણ કરી હતી.
રામનાથપરાના ગેલા પરમારે ઘર પાસે ઝાડમાં ગળાફાંસો ખાધોઃ જીવ બચી ગયો
રામનાથપરા ભવાનીનગર-૧માં રહેતાં ગેલાભાઇ છગનભાઇ પરમાર (ઉ.૨૪) નામના વણકર યુવાને ઘર નજીક પીપળાના ઝાડમાં દરોી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં તેના બહેન હંસાબેન જોઇ જતાં બૂમાબૂમ કરતાં ઘરના સભ્યો અને બીજા લોકો ભેગા થઇ જતાં ગેલાભાઇને નીચે ઉતારી હોસ્પિટલે ખસેડતાં તાકીદની સારવારથી જીવ બચી ગયો હતો. આ યુવાન બે ભાઇ અને બે બહેનમાં નાનો છે તથા છુટક મજૂરી કરે છે. આ પગલુ શા માટે ભર્યુ? તે પરિવારજનો જાણતા નથી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવીઝનમાં જાણ કરી હતી.