બુધવારે જેમીનીડસ ઉલ્કા વર્ષા : વર્ષ ૨૦૨૨ નો આખરી અવકાશી નજારો
રાજકોટ તા. ૯ : વર્ષ ૨૦૨૨ નો આખરી ઉલ્કાવર્ષાનો અવકાશી નજારો આગામી તા. ૧૪ મીએ જોઇ શકાશે. ભારત જન વિજ્ઞાન જાથાની યાદીમાં જણાવ્યા મુજબ તા. ૭ ડીસેમ્બરથી ઉલ્કા વર્ષા શરૂ થઇ ચુકી છે. જે તા. ૧૭ સુધી ચાલુ રહેશે. તા. ૧૪ ના બુધવારે નરી આંખે જોઇ શકાય તેવો આહલાદક નજારો જામશે. કલાકમાં ૧૦ થી ૫૦ અને વધુ ઉલ્કાઓ ખરવાથી આતશબાજી જેવો માહોલ આકાશમાં જામશે.
તા. ૧૪ મીએ ઇશાન ખુણામાં રાત્રીના ૮.૩૩ થી રાત્રીના ૧૦.૩૦ સુધી જેમીનીડસ ઉલ્કાવર્ષા જોવા મળશે. આ ઘટનાક્રમ સતત તા. ૧૫ મીની સવાર સુધી ચાલશે. રસ ધરાવતા સૌ કોઇને આ ઉલ્કાવર્ષા નિહાળવા વિજ્ઞાન જાથાના રાજયના ચેરમેન જયંત પંડયાની યાદીમાં અનુરોધ કરાયો છે. જાથા દ્વારા અવલોકન માટે ચાલી રહેલ તૈયારીઓને સફળ બનાવવા જાથાની ટીમના દિનેશ હુંબલ, નિર્ભય જોશી, રાજુ યાદવ, કાર્તિક ભટ્ટ, અશ્વિન કુગશીયા, નિર્મળ મૈત્રા, વિક્રમ કુગશીયા, ભોજાભાઇ ટોયટા, આકાશ પંડયા, અંકલેશ ગોહીલ, વિનુભાઇ ઉપાધ્યાય, હર્ષાબેન વકીલ, ભક્તિબેન રાજગોર વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. વિશેષ માહીતી માટે જાથાના કાર્યાલય મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.