ખૂની હુમલા - એટ્રોસીટી કેસના આરોપીઓને બે વર્ષની સજા બાદ પ્રોબેશનનો લાભ અપાયો
રાજકોટ, તા. ૮ :. શહેરના નંદનવન સોસાયટી મેઈન રોડ ઉપર નજીવી બાબતે થયેલી મારામારી અને જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યાના ગુન્હાનો કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતા અદાલતે બે શખ્સોને બે વર્ષની સજા બાદ પ્રોબેશન લાભ આપતો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ શહેરના ગાંધીગ્રામ શેરી નં. ૫ માં રહેતા અક્ષયભાઈ બાબુભાઈ પરમાર નામનો યુવાન પોતાના મિત્રની પુત્રીને રણુજા મંદિર નજીક જૂની વેલનાથ સોસાયટીમાં રહેતો ભાવેશ ઉર્ફે ભોલો રમેશ મકવાણાને જોઈ ગયાની જાણ યુવતિના પિતાને કર્યાનો ખાર રાખી ભાવેશ ઉર્ફે ભોલા મકવાણાએ તેનો મિત્ર દિવ્યેશ ઉર્ફે ભોલીયો કાંતિભાઈ સહિત ચાર શખ્સોએ અક્ષય પરમારને નંદનવન સોસાયટી મેઈન રોડ પર નિકળતા છરી વડે હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યાની ફરીયાદ નોંધાવી હતી.
પોલીસ હુમલાખોરોની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા તપાસનીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરતા કેસની સુનાવણી હાથ ધરવામાં આવતા બન્ને પક્ષોની રજૂઆત બાદ સરકાર પક્ષે ૧૪ સાક્ષી અને ૩૨ દસ્તાવેજી પુરાવાના અંતે સેશન્સ જજ એચ.એમ. પવારે આરોપી ભાવેશ ઉર્ફે ભોલો મકવાણા અને દિવ્યેશ ઉર્ફે ભોલીયાને બે વર્ષની સજાનો હુકમ કર્યો પરંતુ બન્ને શખ્સોને પ્રોબેશનનો લાભ આપતા બન્ને શખ્સોને રૂ. ૨૦ હજારના જામીન ઉપર છોડી મુકવા હુકમ કર્યો છે.
આ કેસમાં સરકાર પક્ષે એ.પી.પી. તરૂણભાઈ માથુર ઉપસ્થિત રહ્યા હતા.