શિયાળાનો ચમકારોઃ એકાએક વ્હેલી સવારે ઠંડક છવાઇ
વાવાઝોડાનો ભય સંપૂર્ણ ખતમઃ વરસાદ પણ ઉડી ગયોઃ સર્વત્ર હવામાન સ્વચ્છ
રાજકોટ તા. ૮ :.. છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર - ગુજરાતમાં મહા વાવાઝોડાને કારણે તોફાની પવન, કમોસમી વરસાદનો માહોલ છવાયો હતો. દરમિયાન ગઇકાલથી મહા વાવાઝોડુ નબળુ પડી ગયુ હતું અને આજે વાવાઝોડાની ભય સંપૂર્ણ ટળી ગયાનું તેમજ હવે શિયાળાનો ચમકારો આજથી જોવા મળ્યાનું હવામાન કચેરીએ જણાવ્યું હતું.
મહા વાવાઝોડાની અસરથી સૌરાષ્ટ્રમાં અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, અને કચ્છ જીલ્લાઓનાં સાગરકાંઠા વિસ્તારોમાં સતત ૪ થી પ દિવસ સુધી કમોસમી વરસાદ પડયો હતો. જયારે આજથી વાવાઝોડાનો ભય સંપૂર્ણ ટળી જતાં સૌરાષ્ટ્રનાં અમરેલી, ભાવનગર, રાજકોટ, કચ્છ-ભુજ તમામ જીલ્લાઓમાં સવારથી વાતાવરણ ચોખ્ખુ થઇ ગયુ હતું. વહેલી સવારે શિયાળાનાં પગરવ સમી ઠંડીનો અહેસાસ લોકોને થયો હતો. સવારે ર૭ થી રર ડીગ્રી સુધીનું તાપમાન રહેતાં હવે શિયાળાનાં પ્રારંભનો અહેસાસ લોકોને થઇ રહ્યો છે.