આર.એમ. તન્ના પોરબંદરમાં અધિક કલેકટર પદેઃ એ.આર. સિંઘ રાજકોટમાં ડે. કમિશનર
અધિક કલેકટર કક્ષાના ૪ અધિકારીઓની બદલીના હુકમ : કે. એલ. બચાણીની અમદાવાદ મહાનગરપાલિકામાં નિમણૂંકઃ જે.ડી. પટેલ ભરૂચમાં
રાજકોટ, તા. ૯ :. રાજ્ય સરકારે જી.એ.એસ. કેડરના અધિક કલેકટર કક્ષાના ૪ અધિકારીઓની બદલીના હુકમ કર્યા છે. ગુડાના અધિક કલેકટર કે.એલ. બચાણીની વુડાના સી.ઈ.ઓ. તરીકે અગાઉ કરેલ બદલીનો હુકમ રદ્દ કરી તેમને અમદાવાદ મહાનગરપાલિકામાં ડે. કમિશનર તરીકે મુકવામાં આવ્યા છે. રાજકોટમાં ડે. મ્યુનિસિપલ કમિશનર ડી.જે. જાડેજાની બદલીથી ખાલી પડેલ જગ્યા પર અમદાવાદ ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ.આર. સિંઘને મુકવામાં આવ્યા છે. ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.ડી. પટેલને ભરૂચમાં ખાલી પડેલ નિવાસી અધિક કલેકટરની જગ્યાએ તથા અમદાવાદ પ્રાદેશિક નગરપાલિકા કચેરીના અધિક કલેકટર આર.એમ. તન્નાને પોરબંદરમાં નિવાસી અધિક કલેકટરની નિવૃતિથી ખાલી પડેલ જગ્યા પર નિમણૂક આપવામાં આવી છે. આ જગ્યાનો વધારાનો હવાલો ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.ડી. ધાનાણી પાસે હતો.