ઇજનેર કચેરી અને બેંકના બે પ્યુનના બેભાન હાલતમાં મોત
જોગાનુજોગ બંને ભીલ પરિવારનાઃ સ્વજનોમાં શોક
રાજકોટ તા. ૯: બે અલગ-અલગ બનાવમાં કાર્યપાલક ઇજનેર કચેરીના પ્યુન અને દેનાબેંકના પ્યુનના બેભાન હાલતમાં મોત નિપજ્યા હતાં. જોગાનુજોગ બંને ભીલ પરિવારના હતાં.
મોરબી હાઉસ પાસે કોલસાવાડીમાં રહેતાં અને ઘર નજીક જ આવેલી કાર્યપાલક ઇજનેર કચેરીમાં પ્યુન તરીકે નોકરી કરતાં ગોવિંદભાઇ રવજીભાઇ રાણા (ભીલ) (ઉ.૫૫) ઘરે તાણ આંચકી ઉપડ્યા બાદ બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતક સાત ભાઇ અને ત્રણ બહેનમાં છઠ્ઠા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.
બીજા બનાવમાં ભીલવાસ-૪માં રહેતાં અને દેનાબેંકમાં પ્યુન તરીકે નોકરી કરતાં ગોપાલભાઇ ભીખુભાઇ પરમાર (ઉ.૫૩)ને સવારે છાતીમાં દબાણ થતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતકને સંતાનમાં એક પુત્ર છે. ત્રણ ભાઇમાં વચેટ હતાં. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ પ્ર.નગરમાં જાણ કરી હતી.