કલેકટર કચેરીમાં નવનિર્મિત ઓપન એર થીયેટર તથા બગીચાનું બુધવારે વિજયભાઈના હસ્તે લોકાર્પણ
પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે સાંજે નિશીથ ભારદ્વાજ (મહાભારત શ્રીકૃષ્ણ), સાંઈરામ દવે, કિર્તિદાન સહિતના કલાકારોનો સોરઠી ડાયરો- હસાયરો
રાજકોટ,તા.૯: શહેરની કલેકટર કચેરી ખાતે પાછળના ભાગે બનાવવામાં આવેલ અદ્યતન ઓપ એર થીયેટર તથા આગળના ભાગે બગીચાના નવીનીકરણનું ઉદ્ઘાટન તા.૧૧ને બુધવારના રોજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે યોજાશે. જે અંતર્ગત પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે સાંજે સાત વાગ્યે હસાયરો તથા સોરઠી ડાયરાનું આયોજન કરાયું છે.
કલેકટર તંત્ર દ્વારા આ અંગે તૈયારીનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. કુલ ૨૦ લાખના ખર્ચે બનાવાયેલ થીયેટર અને બગીચાના લોકાર્પણ પ્રસંગે હસાયરા- સોરઠી ડાયરાના કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં મહાભારત ફેમ શ્રી કૃષ્ણનું પાત્ર ભજવનાર નિશીથ ભારદ્વાજ, સાંઈરામ દવે, કિર્તિદાન સહિતના કલાકારો પ્રમુખ સ્વામી ઓડીટોરીયમમાં કલા રજુ કરશે. સાંઈરામ દવે દ્વારા હમીરસિંહજી ગોહીલનું પાત્ર ભજવશે.
નવ નિર્મિત ઓપન એર થીયેટરનું નામ ''કલા સ્ટેશન'' રાખવામાં આવ્યું છે. તેના સંચાલન માટે કલેકટર તંત્ર દ્વારા સૌરાષ્ટ્ર યુનિર્વસીટી સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. સમગ્ર કાર્યક્રમ પહેલા કલેકટર કચેરી ખાતે જ આયોજીત કરાયો હતો. પણ વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે સ્થળાંતર કરાયો છે.