તું સુઇ જા હું હમણા આવું કહી પતિ મિત્રો સાથે વાત કરવા માટે જતો રહેતાં પત્નિનો આપઘાત
સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં બનાવઃ નેપાળી મહિલા નિર્મળાબેને ગળાફાંસો ખાઇ લીધો
રાજકોટ તા. ૯: ગોંડલ રોડ પર સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં અમુલ એન્જિનીયરીંગ પાસે જાગનાથ મારબલ સામે છએક વર્ષથી પતિ સાથે રહેતી નેેપાળી મહિલા નિર્મળાબેન ભરતભાઇ મહતારા (ઉ.૩૫)એ પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં માસુમ પુત્ર મા વિહોણો થઇ ગયો છે.
પતિ ભરત કારખાનામાં કામ કરે છે. તે રાતે કામેથી ઘરે આવ્યા બાદ સવા દસેક વાગ્યે પત્નિને તું સુઇ જા હું હમણા મિત્રો સાથે બેસીને વાતચીત કરીને આવું છું...તેમ કહીને અગાસીએ ગયો હતો. અગિયારેક વાગ્યે તે રૂમમાં આવ્યો ત્યારે પત્નિને લટકતી જોતાં હેબતાઇ ગયો હતો. બેભાન હાલતમાં નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં ગમગીની છવાઇ ગઇ હતી.
હોસ્પિટલ ચોકીના ડી. કે. ખાંભલાએ માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. ભરતના કહેવા મુજબ પોતે પત્નિને સુઇ જવાનું કહી મિત્રો સાથે વાત કરવા જતો રહ્યો એ કારણે તેણીને ખોટુ લાગી જતાં આ પગલુ ભર્યાની શકયતા છે. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.