રાજકોટ જિલ્લામાં ઇન્દિરા ગાંધી નેશનલ ડીસેબિલિટી પેન્શન સ્કીમનો લાભ મેળવતા ૮૪૪ દિવ્યાંગો
૨૧ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વ્યકિતઓ લઇ શકે છે લાભઃ લાભાર્થીના ખાતામાં ડી.બી.ટી. મારફતે માસિક રૂ. ૬૦૦ ચૂકવણી
રાજકોટ, તા.૯: ઇન્દિરા ગાંધી નેશનલ ડીસેબિલિટી પેન્શન સ્કીમ હેઠળ રાજકોટ જિલ્લામાં એપ્રિલ ૨૦૨૧-થી જૂન ૨૦૨૧ સુધીમાં ૮૪૪ દિવ્યાંગ વ્યકિતઓને લાભ અપાયો હતો.
આ યોજનાઓનો લાભ ૨૧ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વ્યકિતઓ લઇ શકે છે. ૭૯ વયથી ઓછી વયના અને ૮૦ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યકિતઓ આ યોજનાનો લાભ લેવાની પાત્રતા ધરાવે છે. જેમાં દરેક લાભાર્થીને તેમના ખાતામાં મહિને ડી.બી.ટી. મારફતે રૂ. ૬૦૦ ચૂકવવામાં આવે છે.
અરજદારે વિકલાંગ ઓળખકાર્ડની નકલ, ઉંમરનો દાખલો, વિકલાંગતા દર્શાવતું ડોકટરી સર્ટીફિકેટ, વિકલાંગ વ્યકિતનું નામ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબના યાદીમાં સમાવિષ્ટ હોય તો તેનો દાખલો, આધાર કાર્ડની નકલ અને બેંક એકાઉન્ટની નકલ, અરજીપત્રક સંપૂર્ણ ભરીને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, બહુમાળી ભવન, બ્લોક નં.પ, રેસકોર્ષ રોડ, રાજકોટ ખાતે રજૂ કરવાનું રહે છે. તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી મેહુલગીરી ગૌસ્વામીની યાદીમાં જણાવાયું છે.