રાજકોટ
News of Monday, 9th July 2018

આત્મકથાના ઉત્સવમાં દર્શકો ઓળઘોળ : લાઇટ-સાઉન્ડ, સરસ સેટ, દમદાર અભિનય

૯ વાગ્યાનો સમય, ૯માં દસ મિનિટ ઓછી હતી ત્યાં હોલ ભરાઇ ગયોઃ ઇન્ટરવલની પણ ના પાડીને લોકોએ માણી આત્મકથાઃ ગાંધી મોહનમાંથી મહાત્મા બન્યા એ ઘટનાનું સુંદર ચિત્રણ

રાજકોટ તા.૯ : શહેરમાં ગત શનીવારે રાત્રે યોજાયેલા હું આત્મકથા છું કાર્યક્રમને ભાવકો,ભાષાપ્રેમીઓએ મનભરીને માણ્યો હતો. હેમુ ગઢવી મીની થિયેટરમાં યોજાયેલા આત્મકથાના મંચનમાં લોકો ઉમટી પડ્યા હતા. ૯ વાગ્યાનો સમય હતો પરંતુ એ પહેલાં દસ મિનિટ અગાઉથી હોલ પેક થઇ ગયો હતો. સંખ્યાબંધ લોકોએ પગથિયાં પર બેસીને, પાછળ ઉભા રહીને કાર્યક્રમ માણ્યો હતો. પોણી કલાક પછી જયારે પાંચ મિનિટના વિરામની જાહેરાત થઇ ત્યારે દર્શકોએ કહ્યું હતું કે અમે બહાર નહીં જઇએ. અમને મજા આવે છે. અને આખો સળંગ કાર્યક્રમ ચાલ્યો હતો.

ગુજરાતી ભાષામાં આત્મકથા લખાયાને ૧૫૦ વર્ષ પૂર્ણ થયાં એ ઉપલક્ષમાં પાંચ પ્રચલિત આત્મકથાનું મંચન રાજકોટના નિવડેલા કલાકારોએ ૭જ્રાક જુલાઇએ હેમુ ગઢવી મિની હોલમાં કર્યું હતું. ગાંધીજી, નર્મદ, મણિલાલ દ્વીવેદી, ક.મા.મુનશી, ચંદ્રકાન્ત બક્ષીની આત્મકથાના અંશને રક્ષિત વસાવડા, હર્ષિત ઢેબર, દેવર્ષ ત્રિવેદી, હિતાર્થ ભટ્ટે મંચ પર ઉતાર્યા હતા. આત્મકથાની આત્મકથા એટલેકે  ૧૫૧ વર્ષની સફર કાનન છાયાએ મૂકીને આખી વાતની ગૂંથણી કરી હતી. લાઇટ, સાઉન્ડ, સુંદર મંચસજ્જાએ પણ લોકોને આકર્ષ્યા હતા. ચેતસ ઓઝા, ઘટા વસાવડા, કેયુર અંજારિયાએ એ જવાબદારી સંભાળી હતી. પ્રારંભિક કાર્યક્રમનું સંચાલન દ્યટા વસાવડા અને બિરદ છાયાએ કર્યું હતું. દરેક પાત્રમાં દરેક કલાકારે જાણે પરકાયા પ્રવેશ કર્યો હોય એવી અનુભૂતિ લોકોને થઇ હતી. દર્શકોએ દરેક જગ્યાએ દાદ આપી હતી, પ્રતિસાદ આપ્યો હતો. આ કાર્યક્રમમાં નિમંત્રણ કાર્ડ કે કોઇ સંસ્થાનું બેનર ન હોવા છતાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધીપાની, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ગુણવંતભાઇ ડેલાવાળા તથા રાજકોટના નાટ્યરસિકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આયોજનને સેવન્થ સેન્સ કોસેપ્ટ્સનો  હયોગ સાંપડ્યો હતો. મહેમાનોનું પૂષ્પગુચ્છથી સ્વાગત જવલંત છાયા, જલ્પા છાયા, કેયુર અંજારિયાએ કર્યું હતું.હું આત્મકથા છુંની પરિકલ્પના, સંચાલન, સંકલન અને લેખન જવલંત છાયાના હતા.(૩૭.૧૦)

 

(1:00 pm IST)