સુમસામ ગૌરવપથ કાલાવડ રોડ ઉપર પોલીસ કમિશ્નર અગ્રવાલના કાફલાની ફલેગમાર્ચ
રાજકોટઃ કોરોનાની મહામારી સામે લડત લડવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૫ માર્ચે 'લોકડાઉન' જાહેર કર્યાના આજે ૧૬મા દિવસે રાજકોટનો ગૌરવ પથ કાલાવડ રોડ સુમસામ ભાસતો હતો. આ વચ્ચે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, એડી. પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની અને ડીસીપી મનોહરસિંહ જાડેજાના વડપણ હેઠળ પોલીસની એક વિશાળ ટુકડીએ આ વિસ્તારમાં ફલેગમાર્ચ કરી હતી જેને લોકોએ પોતાના ફલેટ અને રહેણાંકની બારી અને કમ્પાઉન્ડમાંથી નિહાળી હતી. જૂના રાજકોટ અને નવા રાજકોટને જોડતા મહિલા કોલેજ અન્ડરબ્રિજની પેલેપાર કોટેચા ચોક, કેકેવી હોલ ચોક, આત્મીય કોલેજ અને એ.જી. ચોક સુધી પોલીસની આ ફલેગમાર્ચ થઈ હતી. આ વિસ્તારમાં દરરોજ પોલીસના જાહેરનામાના ભંગના કિસ્સાઓ વધતા હોય આજે પોલીસે કડક વલણ અખત્યાર કરવાની છડી પોકારતી હોય તેવી ફલેગમાર્ચ યોજી રાજકોટના લોકોને શાનમાં સમજી જવા વધુ એક વખત ચેતવણી આપી હતી. (ફોટોઃ સંદીપ બગથરીયા)