મહિલા દિન નિમિતે અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા વર્ચ્યુઅલ સેમીનાર
રાજકોટ : આંતર રાષ્ટ્રીય મહિલા દિન નિમિતે અખિલ હિન્દ મહિલા પરિષદના આશ્રયે, આણંદ કોલેજ ઓફ લીગલ સ્ટડીઝ તેમજ એ.એમ.પી. લો કોલેજના સહયોગથી 'કોરોના મહામારી પછીના વિશ્વમાં મહિલાઓની અસરકારક હિસ્સેદારી અને સક્ષમ નેતૃત્વ'ની સંયુકત રાષ્ટ્રસંઘની ૨૦૨૧ની સંકલ્પના અનુસંધાને આયોજીત આંતરરાષ્ટ્રીય સેમિનારમાં ભારતના વિવિધ રાજ્યો અને વિશ્વના અનેક દેશોમાંથી અગ્રણી મહિલાઓની ઉપસ્થિતીમાં ઐતિહાસિક વર્ચ્યુઅલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. અખિલ હિન્દ મહિલા પરિષદના રાષ્ટ્રીય અઘ્યક્ષ શ્રીમતી શીલા કાકડેના અઘ્યક્ષ સ્થાને આયોજીત આ આંતરરાષ્ટ્રીય સેમીનારમાં ઈન્ટરનેશનલ એલાયનસ ઓફ વુમનના ચેરપર્સન સુ.શ્રી શેરીલ હેઈલ્સ, મૂળ ભારતીય કુળના ઓસ્ટેલીયન ગ્રેજયુએટ એસોસીએશનના અઘ્યક્ષા તથા ડીન સુ.શ્રી જયા ડંટાસ, પરિષદના રાષ્ટ્રીય મહામંત્રી શ્રીમતી કુલજીત કૌર તથા રામકૃષ્ણ સેવા મંડળના સેક્રેટરી જયોત્સનાબેન કે. પટેલ તેમજ ઈન્ટરનેશનલ એલાયન્સ ઓફ વુમનના એકઝીકયુટીવ વાઈસ પ્રેસીડન્ટ શ્રીમતી મંજુ કાક ઉપસ્થિત રહયા હતા. અખિલ હિન્દ મહિલા પરિષદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સેમીનારના સંયોજક શ્રીમતી ડો. ભાવના જોશીપુરાના નિમંત્રણથી વિશ્વના અગ્રણી મહિલાઓ કાર્યક્રમમાં જોડાયા હતાં. કોઓર્ડિનેટરર્સ તરીકે સરદાર પટેલ યુનિવર્સિટીના કાયદા વિદ્યાશાખાના ડીન ડો. રેખાકુમારી સીંઘ અને એ.એમ.પી. લો કોલેજના પ્રિન્સિપાલ ડો. મીનળબેન રાવલ હતાં. કાર્યક્રમનું સંચાલન કોઓર્ડિનેટર અને રાજકોટની એ.એમ.પી. લો કોલેજના પ્રાચાર્ય શ્રીમતી મીનળબેન રાવલે કરેલ. સરદાર પટેલ યુનિવર્સિટીના કાયદા વિદ્યાશાખાના ડીન ડો. રેખાકુમારી સીંઘે આ પ્રસંગે ખાસ ઉદબોધન કરી અને આ ઐતિહાસીક કાર્યક્રમ કાયમી સંભારણું બની રહેશે તેવી લાગણી વ્યકત કરેલ.