સંતો-વડીલો સહિત આજે ૨૫૭૮ શહેરીજનોએ વેકસીન લીધી
રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા કોરોના વેકસીનના બીજા તબક્કામાં શહેરના ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા અને ૪૫ થી ૫૯ વર્ષના કોમોર્બીડિટી ધરાવતા લોકોને વેકસીન આપવામાં આવે છે. જેમાં શહેરના મોટી ઉંમરના લોકો પાસેથી વેકસીન મુકાવવા અંગે ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રાજકોટના નામાંકિત વડીલો અને સંતોનો વેકસીન મુકાવવા અંગે બહોળો સહયોગ મળી રહ્યો છે. જો અન્વયે આજે સ્વામિનારાયણ ગુરુકુળના ગુરુમહારાજ દેવકૃષ્ણદાસજી સ્વામી તથા ૯૨ વર્ષના મુકતાબેન દેસાઇ સહિતના સંતો ,વડીલો કોરોના વેકસીન મુકાવી શહેરીજનોને સંદેશ પણ આપ્યો કે સૌ સાથે મળીને કોરોનાને હરાવીએ અને સૌ લોકો વેકસીન લઈ કોરોનાથી બચીએ. દરમિયાન શહેરમાં ૨૪ સરકારી અને ૧૪ ખાનગી હોસ્પિટલો એમ કુલ ૩૮ હોસ્પિટલોમાં કોરોના સામેની રસીકરણમાં બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધીમાં પ્રથમ તબક્કામાં ૧૧૪, પ્રથમ તબક્કાના બીજા ડોઝમાં ૨૫૩, ૬૦ વર્ષથી મોટી ઉંમરના ૨૦૧૧ અને ૪૫ થી ૫૯ વર્ષના કોમોર્બીડીટી ધરાવતા ૨૦૦ લોકો સહિત કુલ ૨૫૭૮ નાગરિકોએ રસી લીધી.