રાજકોટ
News of Tuesday, 9th March 2021

ગોકુલધામ સોસાયટીમાં પાઇપ ગટરનું કામ શરૂ : પાણી ભરાવાની વર્ષો જુની સમસ્યાનો અંત

વોર્ડ નં. ૧૨ના પ્રદિપ ડવ અને સાથી કોર્પોરેટરો પ્રજાની સેવામાં લાગી ગયા : ચૂંટણી અગાઉ લતાવાસીઓને આપેલુ વચન તાબડતોબ પૂર્ણ કરતા પ્રદિપ ડવ

ગોકુલધામ સોસાયટીમાં પાઇપ ગટરનું કામ શરૂ થયું તે નજરે પડે છે.

રાજકોટ તા. ૮ : શહેરના મવડી વિસ્તારના વોર્ડ નં. ૧૨માં આવેલી ગોકુલધામ સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટે પાઇપ ગટર (સ્ટોર્મ વોટર ડ્રેનેજ)નું કામ આ વિસ્તારના નવનિયુકત ભાજપના કોર્પોરેટર પ્રદિપ ડવે તથા સાથી કોર્પોરેટરોએ શરૂ કરાવી અને ચુંટણી વખતે આપેલું વચન પૂર્ણ કરતા લતાવાસીઓમાં આનંદની લાગણી છવાઇ છે. આ અંગે ગોકુલધામ વિસ્તારના રહેવાસીઓએ એક યાદીમાં જણાવ્યું છે કે, ચૂંટણી વખતે જ્યારે વોર્ડ નં. ૧૨ના ભાજપના ચારેય ઉમેદવારો સોસાયટીમાં લોકસંપર્ક માટે આવ્યા હતા ત્યારે રહેવાસીઓએ રજૂઆત કરી હતી કે ગોકુલધામ સોસાયટીની શેરી નં. ૬ અને ૫ માં વર્ષોથી પાણી ભરાઇ રહેવાની સમસ્યા છે તે દુર કરવી જરૂરી છે ત્યારે ભાજપના ચારેય ઉમેદવારો આ સમસ્યા દુર કરાવવા વચનબધ્ધ થયા હતા અને ચુંટણીમાં વિજય મેળવતાની સાથે જ વોર્ડ નં. ૧૨નાં કોર્પોરેટર પ્રદિપ ડવ તથા સાથી કોર્પોરેટરો અસ્મિતાબેન દલવાડિયા, મિતલબેન લાઠીયા અને મગનભાઇ સોરઠીયા પ્રજાની સેવામાં લાગી ગયા છે અને ગોકુલધામ સોસાયટીના રહેવાસીઓને આપેલા વચનને પૂર્ણ કરવા આ સોસાયટીમાં યુધ્ધના ધોરણે પાઇપ - ગટરનું કામ શરૂ કરાવતા લતાવાસીઓમાં આનંદ છવાયો છે અને ચારેય કોર્પોરેટરોની કર્મનિષ્ઠાને બિરદાવી તેઓ પ્રત્યે આભારની લાગણી દર્શાવી હતી.

(4:19 pm IST)