રાજકોટ
News of Friday, 9th March 2018

આમ્રપાલી સિનેમાવાળી વિવાદી મિલ્કત સંબંધે દાવો રદ કરવા થયેલ અરજીને રદ કરતી કોર્ટ

રાજકોટ તા. ૯ :. આમ્રપાલી સિનેમાની વિવાદીત વારસાઇ મીલકત અંગે મુળ જમીન માલીક ગુજ. ડાયાભાઇ દુદાભાઇના વારસોએ કરેલ દાવો રદ કરવા પ્રતિવાદીઓ ગુજ. રણછોડભાઇ રામજીભાઇ તંતીના વારસોની દાવો રદ કરવાની અરજી રાજકોટના સીનીયર સીવીલ જજ શ્રી એ. વાય. દવે એ દાવો રદ કરવાની અરજી નામંજુર કરી હતી.

રાજકોટ શહેરના રૈયા રોડ ઉપર આવેલ આમ્રપાલી  સિનેમાવાળી મીલકત અંગે મુળ જમીન માલીક ગુજ. ડાયાભાઇ દુદાભાઇના વારસોએ રાજકોટની દિવાની અદાલતમાં કરેલ સ્પે. દિવાની કેસમાં પ્રતિવાદીઓ ગુજ. રણછોડભાઇ રામજીભાઇ તંતીના વારસો તથા બી. આર. પટેલ ભાગીદારી પેઢીના ભાગીદારો સામેના દાવા અંગે કોર્ટમાં પ્રતિવાદીઓ પૈકી પ્રતિવાદી નં. ર દિલીપભાઇ ભીખાભાઇ તંતી વિગેરેએ કરેલ સી. પી. સી. ઓર્ડર ૭-રૂલ ૧૧ ની વાદીનો દાવો સમય મર્યાદા બહાર વર્ષો પછી દાખલ કરેલ હોય દાવો રદ કરવા અરજી કરેલ હતી.

સીવીલ જજ શ્રી એ. વાય. દવેએ પ્રતિવાદીઓએ વાદીઓનો દાવો રદ કરવાની અરજી નામંજૂર કરતા હુકમમાં એવુ ઠરાવેલ કે સદરહું દાવો પુરાવાના તબકકે છે આ કામના પ્રતિવાદીઓને સને ર૦૦૮ માં સમન્સ બજવણી થવા છતાં કોઇ જવાબ-વાંધા રજૂ કરેલ નહી અને ત્યારબાદ વાદગ્રસ્ત મીલકત પ્રતિવાદીઓએ મીલકત વેચાણ કરવા કાર્યવાહી કરી રાજકોટના દૈનિક પત્રમાં ખરીદનારાઓ વતી તેમના વકીલ મારફત જાહેર નોટીસ અનામી ખરીદનાર અસીલો વતી રાજકોટના રેવન્યુ સર્વે નં. ૪૭પ પૈકી પ્લોટ નં. ૯, ૧૦, ૧૧, ૧ર, ૧૩ પૈકી ૧૪ પૈકી ર૦, ર૧ ની આમ્રપાલી ટોકીઝ વાળી ખુલ્લી જમીન અંગે મીલકત ખરીદવા આપેલ.

વાદીઓ તરફે જાહેર નોટીસનો જવાબ તથા વળતી નોટીસ આપેલ તે હકિકત તેમજ સદરહું દાવાના કામે નવેસરથી વાદીઓએ માંગેલ કામચલાઉ મનાઇ હુકમ અરજી અને પક્ષકારો જોડવા કરેલ અરજીની જાણકારી હોવા છતાં પ્રતિવાદીઓએ કોઇ જવાબ વાંધા રજૂ કરેલ નથી અને દાવા અંગે સમય મર્યાદા અને વારસાઇ મીલકતના હકક, હિત સંબંધે કાયદા અને હકિકતના મિશ્ર પ્રશ્ન સંકળાયેલ હોય પુરાવો લીધા વિના નિર્ણય થઇ શકે નહી તેમ ઠરાવી પ્રતિવાદીઓની વાદીઓનો દાવો રદ કરવા કરેલ અરજી નામંજૂર કરતો હુકમ કરેલ છે.આ કામે વાદીઓ ગુજ. ડાયાભાઇ દુદાભાઇના વારસો પ્રફુલભાઇ ડાયાભાઇ ગઢીયા વિગેરે તરફે રાજકોટના એડવોકેટ એલ. વી. લખતરીયા, બીનીતા જે. ખાંટ, ભાવીન આર. લીંબાણી, યોગેશ પી. ચૌહાણ વિગેરે રોકાયેલ છે. (પ-ર૪)

(4:16 pm IST)