રાજકોટમાં ટ્રાફિક સેન્સ વિકસાવવા એકશન પ્લાનઃ ૪૫ નવા સિગ્નલો
પ૦૦ વધુ સી.સી. ટી.વી. કેમેરા લગાવાશેઃ બંધ સિગ્નલો ચાલુ કરાશેઃ તમામ સિગ્નલો લીંક-અપ કરાશેઃ સેન્સરો મૂકાશેઃ મ્યુ. કમિશ્નર બંછાનિધી અને પોલીસ કમિશ્નર અનુપમસિંહ વચ્ચે યોજાયેલી બેઠકમાં લેવાયેલો મહત્વનો નિર્ણય
રાજકોટ તા. ૯ :.. શહેરમાં ટ્રાફીકની સમસ્યાં વર્ષોથી યથાવત છે. રાજકોટવાસીઓમાં ટ્રાફીક સેન્સની ઉણપ છે. તેવુ મેણું ભાંગવા હવે મ્યુ. કમિશ્નર બંછાનીધી પાની અને પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે કમ્મર કસી છે અને ટ્રાફીક નિયમનમાં કોઇ કસર રહી ન જાય તે માટે એકશન પ્લાન ઘડી અને તેઓ અમલ ટૂંક સમયમાં જ શરૂ કરવા કટીબધ્ધતાં વ્યકત કરી છે.
આ અંગે મ્યુ. કમિશ્નર બંછાનીધી પાની વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું કે શહેરમાં ટ્રાફીક સીગ્નલો છે તે બંધ છે. અને વધુ ટ્રાફીક સિગ્નલોની જરૂર છે. તેવી ફરીયાદ હંમેશા લોકોની રહી છે ત્યારે હવે નવા ૪પ જેટલા અદ્યતન ટ્રાફીક સિગ્નલો મુકવા તેમજ વધુ પ૦૦ સી. સી. ટી. વી. કેમેરા લગાવવા અને ૪ થી પ બંધ પડેલા ટ્રાફીક સિગ્નલોને ચાલુ કરવા નિર્ણયો લેવાયા છે.
શ્રી પાનીએ જણાવ્યું હતું કે જે નવા ટ્રાફીક સિગ્નલો નંખાશે તે સેન્શરવાળા હશે એટલે કે તમામ ટ્રાફીક પોઇન્ટ કેટલીવાર સુધી બંધ રહેશે તેનો ટાઇમ વાહન ચાલકોને દર્શાવાશે જેથી પેટ્રોલની બચત થાય એટલુ જ નહી બધા સિગ્નલો એક બીજા સાથે લીક-અપ રહેશે જેથી એક સિગ્નલેથી બીજા સિગ્નલપર વાહન પહોંચે ત્યારે તે ખુલ્લુ રહે અને ટ્રાફીક જામ સર્જાય નહીં.
આ ઉપરાંત હાઇવે પ્રોજેકટ હેઠળ પ૦૦ જેટલા સી. સી. ટી.વી. કેમેરા પણ લગાવાશે.
હાલના બંધ ટ્રાફીક સિગ્નલો
નોંધનીય છે કે હાલમાં શહેરમાં રામદેવપીર ચોકડી, નાના મવા ચોક, રાજનગર ચોક, જામટાવર ચોક, કાંતા સ્ત્રી વિકાસ ગૃહ ચોક, ભારતી બંગલા ચોકમાં ટ્રાફીક સિગ્નલો બંધ છે. (પ-ર૬)