રાજકોટ
News of Thursday, 8th March 2018

ગીરના સિંહોને મધ્ય પ્રદેશમાં સ્થળાંતર કરવાના હુકમની અવગણના અંગે થયેલ કન્ટેમની અરજીને સુપ્રિમે રદ કરી

રાજકોટના ટ્રસ્ટની મુળ પીટીશનની સુનાવણી દોઢ માસ બાદ થશેઃ છ અઠવાડીયામાં વિશેષ પુરાવો રજૂ કરવા આદેશઃ સુપ્રિમ સમક્ષ તુષાર ગોકાણી દ્વારા રજૂઆત

રાજકોટ તા. ૮ :.. ગીરના સિંહોને મધ્ય પ્રદેશ લઇ જવા સામે રાજકોટના ટ્રસ્ટ દ્વારા સુપ્રિમ કોર્ટમાં થયેલ પીટીશન સંદર્ભે મધ્ય પ્રદેશના વનપ્રેમી અજય દુબેએ કરેલ કન્ટેમની અરજીને આજે સુપ્રીમ કોર્ટે નકારી કાઢી હતી.

આ અંગેની વિગત એવી છે કે, ગીરના સિંહોને મધ્ય પ્રદેશના કુર્ના જંગલમાં ખસેડવા સામે રાજકોટના વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન ટ્રસ્ટ દ્વારા સુપ્રિમ કોર્ટમાં પી. આઇ. એલ. દાખલ કરવામાં આવી હતી.

આ પીટીશનમાં સુપ્રિમ કોર્ટે ગીરના સિંહોને સ્થળાંતર કરવા હુકમ કરેલ હોવા છતાં ગુજરાત સરકાર દ્વારા યેનકેન પ્રકારે હુકમનો અમલ થતો ન હોય મધ્ય પ્રદેશના વન પ્રેમી અરજદાર અજય દુબેએ ગુજરાત સરકાર વિગેરે વિરૂધ્ધ 'કન્ટેમ ઓફ કોર્ટ' ની અરજી કરી હતી.

કન્ટેમની આ અરજી સામે વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન ટ્રસ્ટ વતી રાજકોટના યુવા એડવોકેટ તુષાર ગોકાણીએ તેઓને કન્ટેમની અરજીમાં પત્રકાર તરીકે જોડવા અરજી કરી હતી.

આ અરજીમાં આ મુદ્ે કોઇપણ ઉતાવળ કરવાના બદલે ધ્યાનપુર્વક પરિસ્થિતી જોવી પડે તેમ હોય. અને સિંહોને સ્થળાંતર કરવામાં જોખમ હોય. તમામ હકિકતોને ધ્યાને લેવા અરજ કરી હતી.

ઉપરોકત રજૂઆત બાદ સુપ્રિમ કોર્ટે છ હપ્તાની મુદ્ત બાદ પીટીશનની સુનાવણી મુલત્વી રાખવા આદેશ કર્યો હતા.

આ દરમ્યાન હવે પછી શુ શુ કાર્યવાહી થઇ. મીટીંગોમાં શું નિર્ણય થયો તે અંગેની તમામ હકિકતો સાથેનો વિશેષ પુરાવો રજૂ કરવા પણ જણાવાયું છે.

આ મેટર હાલમાં સુપ્રિમ કોર્ટના જસ્ટીશ મદન લોકુર, કુરીયન જોસેફ, દિપક ગુપ્તાની ડીવીઝન બેંચ સમક્ષ ચાલી રહેલ છે.

આ કેસમાં વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન ટ્રસ્ટ વતી એડવોકેટ અભયભાઇ ભારદ્વાજ, દિલીપભાઇ પટેલ, તુષાર ગોકાણી, રીયન ગોકાણી, સ્તવન મહેતા, અમૃતા ભારદ્વાજ, ગૌરાંગ ગોકાણી, કેવલ પટેલ, પ્રદીપ વઘાસીયા રોકાયા હતાં.

(4:12 pm IST)