ગીરના સિંહોને મધ્ય પ્રદેશમાં સ્થળાંતર કરવાના હુકમની અવગણના અંગે થયેલ કન્ટેમની અરજીને સુપ્રિમે રદ કરી
રાજકોટના ટ્રસ્ટની મુળ પીટીશનની સુનાવણી દોઢ માસ બાદ થશેઃ છ અઠવાડીયામાં વિશેષ પુરાવો રજૂ કરવા આદેશઃ સુપ્રિમ સમક્ષ તુષાર ગોકાણી દ્વારા રજૂઆત
રાજકોટ તા. ૮ :.. ગીરના સિંહોને મધ્ય પ્રદેશ લઇ જવા સામે રાજકોટના ટ્રસ્ટ દ્વારા સુપ્રિમ કોર્ટમાં થયેલ પીટીશન સંદર્ભે મધ્ય પ્રદેશના વનપ્રેમી અજય દુબેએ કરેલ કન્ટેમની અરજીને આજે સુપ્રીમ કોર્ટે નકારી કાઢી હતી.
આ અંગેની વિગત એવી છે કે, ગીરના સિંહોને મધ્ય પ્રદેશના કુર્ના જંગલમાં ખસેડવા સામે રાજકોટના વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન ટ્રસ્ટ દ્વારા સુપ્રિમ કોર્ટમાં પી. આઇ. એલ. દાખલ કરવામાં આવી હતી.
આ પીટીશનમાં સુપ્રિમ કોર્ટે ગીરના સિંહોને સ્થળાંતર કરવા હુકમ કરેલ હોવા છતાં ગુજરાત સરકાર દ્વારા યેનકેન પ્રકારે હુકમનો અમલ થતો ન હોય મધ્ય પ્રદેશના વન પ્રેમી અરજદાર અજય દુબેએ ગુજરાત સરકાર વિગેરે વિરૂધ્ધ 'કન્ટેમ ઓફ કોર્ટ' ની અરજી કરી હતી.
કન્ટેમની આ અરજી સામે વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન ટ્રસ્ટ વતી રાજકોટના યુવા એડવોકેટ તુષાર ગોકાણીએ તેઓને કન્ટેમની અરજીમાં પત્રકાર તરીકે જોડવા અરજી કરી હતી.
આ અરજીમાં આ મુદ્ે કોઇપણ ઉતાવળ કરવાના બદલે ધ્યાનપુર્વક પરિસ્થિતી જોવી પડે તેમ હોય. અને સિંહોને સ્થળાંતર કરવામાં જોખમ હોય. તમામ હકિકતોને ધ્યાને લેવા અરજ કરી હતી.
ઉપરોકત રજૂઆત બાદ સુપ્રિમ કોર્ટે છ હપ્તાની મુદ્ત બાદ પીટીશનની સુનાવણી મુલત્વી રાખવા આદેશ કર્યો હતા.
આ દરમ્યાન હવે પછી શુ શુ કાર્યવાહી થઇ. મીટીંગોમાં શું નિર્ણય થયો તે અંગેની તમામ હકિકતો સાથેનો વિશેષ પુરાવો રજૂ કરવા પણ જણાવાયું છે.
આ મેટર હાલમાં સુપ્રિમ કોર્ટના જસ્ટીશ મદન લોકુર, કુરીયન જોસેફ, દિપક ગુપ્તાની ડીવીઝન બેંચ સમક્ષ ચાલી રહેલ છે.
આ કેસમાં વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન ટ્રસ્ટ વતી એડવોકેટ અભયભાઇ ભારદ્વાજ, દિલીપભાઇ પટેલ, તુષાર ગોકાણી, રીયન ગોકાણી, સ્તવન મહેતા, અમૃતા ભારદ્વાજ, ગૌરાંગ ગોકાણી, કેવલ પટેલ, પ્રદીપ વઘાસીયા રોકાયા હતાં.