રાજકોટ
News of Thursday, 8th March 2018

યાર્ડમાં વેબ્રીજ વજનથી ઘઉંનું વેચાણ કરાયું

મજુરીના ૧.૬૦ રૂ.ના દર વધારીને ર.રપ કરી દેવાયા છતા મજુરોએ કામ ન કરતા યાર્ડના પદાધિકારીઓનો નિર્ણયઃ અગાઉ મજુરીના દરના પ્રશ્ને ઘઉંની હરરાજી ૧ર દિ' બંધ રહી હતી

રાજકોટ, તા., ૮: સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા રાજકોટ યાર્ડમાં ઘઉંની હરરાજીમાં મજુરી પ્રશ્ને પ્રશ્નોએ ફરી ધોકો પછાડતા યાર્ડના સંચાલકોએ વેબ્રીજ વજનથી ઘઉંનું વેચાણ શરૂ કરાવ્યું હતું.

મળતી વિગતો મુજબ રાજકોટ યાર્ડમાં ઘઉં વિભાગમાં મજુરોએ ફરી મજુરીના દર વધારવાની માંગણી કરતા મજુર આગેવાનોની યાર્ડના પદાધિકારીઓ સાથે મીટીંગ યોજાઇ હતી. આ મીટીંગમાં ઘઉં વિભાગમાં કામ કરતા મજુરોને એક મણ મજુરીના ૧.૬૦ રૂ. અપાતા હતા. તે વધારીને ર.રપ રૂ. કરી દેવાયા હતા. છતાં મજુરોએ આ ભાવ વધારો નામંજુર કરી કામ કરવાની ના પાડતા યાર્ડના ચેરમેન ડી.કે.સખીયા તથા વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજાએ ઘઉંની હરરાજી ખોરવાઇ નહિ તે માટે વેબ્રીજ વજનથી ઘઉંનું વેચાણ શરૂ કરાવ્યું હતું.

હવે યાર્ડમાં ઘઉંની જે આવક થાય છે તેનું વેબ્રીજ વજનથી વેચાણ કરાશે. ખેડુતો જે વાહનમાં ઘઉં લઇ આવે તે વાહન સહીત ઘઉંના જથ્થાનું વેબ્રીજમાં વજન કરાશે. આ વજનમાં જે તે વાહનનું વજન બાદ કરી બાકીના ઘઉંના જથ્થાની ગણતરી કરી વેપારીઓ ખેડુતોને પેમેન્ટ ચુકવશે. યાર્ડના પદાધિકારીઓના આ નિર્ણયથી ખેડુતોનો સમય પણ બચશે તથા ખેડુતોને પુરો વજન પણ મળશે.

(4:09 pm IST)