રાજકોટ
News of Thursday, 8th March 2018

નારી શકિતનું રક્ષણ થાય તો જ 'મહિલા દિન'ની ઉજવણી યોગ્યઃ મનીષાબા વાળા

રાજકોટ તા. ૮ :.. શહેર કોંગ્રેસનાં ઉપપ્રમુખ મનીષાબા વાળાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે વિશ્વ મહિલા દિવસ મહિલાઓનું  સન્માન દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આનો ખરો અર્થ તો એ થાય કે જયારે આપણે સમાજમાં સ્ત્રીઓનું રક્ષણ - મહિલાઓનું રક્ષણ કરવામાં સફળ થઇએ તો જ આવા દિવસની ઉજવણી યથા યોગ્ય કહેવાય.

તેઓએ આ તકે જણાવ્યું છે કે, સમાજમાં બનતા સ્ત્રી ઉપરના અત્યાચારો એ દુઃખની બાબત છે. મહિલા સશકિતકરણ માટે યોગ્ય ઢબે પ્રશિક્ષણ આપવું જોઇએ. સ્ત્રીએ કયારેક માતા, કયારેક બહેન બનીને કાયરેક પત્નિ બનીને જે સમાજમાં યોગદાન આપ્યું છે તે પ્રશંસનીય છે. તેના બદલામાં પુરૂષ પ્રધાન સમાજે યોગ્ય થવા માટે સારા પ્રયત્ન કરવા જોઇએ. જયારે દરેક ક્ષેત્રેમાં સ્ત્રીઓને સમાન દરજજો આપવામાં આવે ત્યારે કંઇક અંશે કલ્યાણકારી કામ કર્યુ હોય તેવું પ્રતિત થાય. આમ એકંદરે સ્ત્રીઓનું માન-સન્માન જળવાય, સમાજમાં પ્રતિષ્ઠા વધે તે જ આ દિવસનો માર્મીક હેતું છે.

શિવાજી મહારાજ જેવા સપૂત ધર્મ યોધ્યાની જનેતા જીજાબાઇ, રણભૂમિની વિરાંગના ઝાંસીની રાણી, લક્ષ્મીબાઇ, ઝેરના ઘુંટડા અમૃતમાં પરિવર્તન કરનારી મીરાબાઇ જેવી કેટલીક નારીઓએ ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાની મર્યાદામાં રહીને પણ ઇતિહાસને એક અભૂતપૂર્વ સર્વોચ્ચ શિખર પ્રસ્તાપિત કર્યા છે.

વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધી એનું જવલંત ઉદાહરણ છે. અવકાશ યાત્રી સુનિતા વિલીયમ, પ્રાચીન સમયમાં દુર્ગાબાઇ, રાણકદેવી આ બધા સ્ત્રીઓના સન્માનના ઉત્તમ ઉદાહરણ છે.

સમાજની પ્રબુધ્ધ  મહિલાઓએ સામાજીક અને આર્થિક રીતે વંચિત મહિલાઓને મુખ્ય પ્રવાહમાં જોડાવવાનું કામ સતત અને સખ્ત પુરૂષાર્થ થકી, પરિણામલક્ષી પ્રયત્નો કરવા જોઇએ ત્યારે જ સાચા અર્થમાં 'વિશ્વ મહિલા દિવસ' ની ઉજવણી સાર્થક  થયેલી ગણાશે.

સંકલનઃ-

(મનીષાબા એલ. વાળા)

રાજકોટ શહેર ઉપપ્રમુખ, કોંગ્રેસ

(મો. ૯૯૦૯૬ ૩૬૧ર૮)

(3:56 pm IST)