રાજકોટ-ગોંડલ હાઇવે પર ૧૪ કિ.મી.માં આવતા ગુરૂવારે મેગા ડીમોલીશન
નેશનલ હાઇવે દ્વારા કલેકટરની સૂચના બાદ ૧૪૦ને નોટીસ ફટકારીઃ દબાણ હટાવ બાદ સીકસ લેન અંગે શરૂ થશે કાર્યવાહી... : આવતા મહિને ગોંડલ ચોકડી ફલાયઓવર ખુલ્લો મૂકાશેઃ રાજકોટ-અમદાવાદ હાઇવે પર માલીયાસણ પછી બે બ્રીજ - ૪ કિ.મી.નો રસ્તો બાકી : હાઇવેનું ધીમુ કામ કરનાર વરાહા ઇન્ફ્રાસ્ટ્રકચરને કલેકટરની સૂચના બાદ બે વખત નોટીસ ફટકારાઇ હવે ખૂલાસા બાદ રપ હજારના દંડ અંગે કાર્યવાહી : આગામી ૮ માર્ચે વુમન-ડે સંદર્ભે બ્રેસ્ટ કેન્સર અંગે અવેરનેશ કાર્યક્રમો યોજાશે : ફેબ્રુઆરીની ૧૩થી ૧૭ રાજકોટ શહેર-જીલ્લામાં ખાસ ફાયનાન્સ વિકઃ અનેક ટોપીકપર સેમીનારો
રાજકોટ તા. ૯: રાજકોટ જીલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબૂએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ-જેતપુર સીકસ લેન હાઇવે શરૂ કરતા પહેલા ગોંડલ ચોકડી અને ત્યાંથી ૧૪ કિ.મી. સુધીના પટ્ટા ઉપર સરકારી જમીન ઉપર ઉભા થઇ ગયેલા નાના-મોટા આડેધડ દબાણો દૂર કરવા આવતા ગુરૂવારે મેગા ડીમોલીશન શરૂ કરાશે, આ અંગે જે તે પ્રાંત દ્વારા નેશનલ હાઇવેને દબાણો અંગે જાણ કરતા નેશનલ હાઇવે દ્વારા કૂલ ૧૪૦ થી વધુ આસામીઓને નોટીસો ફટકારાઇ છે, આમ છતાં ખાલી નથી કર્યા હવે સીટી અને રૂરલ બંને પોલીસના બંદોબસ્ત સાથે મેગા ડીમોલીશન હાથ ધરાશે.
કલેકટરે જણાવેલ કે ત્યારબાદ સીકસલેન કામગીરી શરૂ કરવા કાર્યવાહી થશે. તેમણે ઉમેર્યું હતું કે ગોંડલ ચોકડી ફલાય ઓવરબ્રીજ સંપૂર્ણ પણે આવતા મહિને ખૂલ્લો મૂકાઇ જશે, એક સાઇડ ચાલૂ છે, આ બંને સાઇડ એક મહિના બાદ ચાલુ થઇ જશે.
રાજકોટ-અમદાવાદ હાઇવેના ધીમા કામ અંગે નોટીસો
કલેકટરે ઉમેર્યું હતું કે રાજકોટ-અમદાવાદ સીકસ લેનમાં માલીયાસણ બાદનો ૩ થી ૪ કિ.મી.નો રસ્તો તથા બે બ્રીજની ધીમી કામગીરી સંદર્ભે નેશનલ હાઇવેને સૂચના આપી બે વખત કોન્ટ્રાકટર કંપની વરાહા ઇન્ફ્રાસ્ટ્રકચરને રોડ સેફટી કમિટીની નોટીસ ફટકારાઇ છે, તેમજ આગામી મીટીંગમાં આ કંપનીનો ખુલાસો પૂછી જરૂર પડયે રપ હજારના દંડ અંગે કાર્યવાહી થશે.
૮ માર્ચ-વુમન્સ-ડે
કલેકટરે જણાવ્યું હતું કે આગામી ૮ માર્ચે વુમન્સ-ડે છે, આ દિવસે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરની જાગરૂકતા આવે તેના ઇન્વજેકશનો જે શરૂ કરાયા છે તેના અવેરનેશ સંદર્ભે શહેર-જીલ્લામાં ખાસ કાર્યક્રમો યોજાશે.
૧૩ થી ૧૭ ફેબ્રુઆરી
ખાસ ફાયનાન્સ વીક
કલેકટરે જણાવ્યું હતું કે આગામી તા. ૧૩ થી ૧૭ ફેબ્રુઆરી દરમિયાન ખાસ ફાયનાન્સ વીકની ઉજવણી જુદા જુદા સ્થળોએ કરાશે. જેમાં બેન્કો-પંચાયત-ચૂંટાયેલા પ્રતિનિધિઓ-લાભાર્થીઓને જોડાશે અને ફાયનાન્સ બાબતને લગતા વિવિધ ટોપીકો અંગે સેમીનાર યોજાશે.
ઉદ્યોગકારોની મુશ્કેલી
અંગે સરકારને જાણ કરાઇ
કલેકટરે જણાવ્યું હતું કે રાજકોટ જીલ્લાની ઇન્ડસ્ટ્રીયલ એસો.ના પ્રશ્નો અંગે સરકારને જાણ કરાઇ છે, તેમનાં GIDC માં પ્લોટીંગ ડબલ કરવા, ટ્રાન્સફર ફી ન લેવી GST ના મુદાઓ વિગેરે બાબતે સરકારને માહિતગાર કરાયા છે, આ સરકારની પોલીસનો પ્રશ્ન છે, આમ છતાં ઉદ્યોગકારો સાથે આવતા મહિને વધુ એક મીટીંગ યોજીશું.
પાંજરાપોળોને પ
કરોડ ૮૦ લાખ ચૂકવાયા
કલેકટરે ઉમેર્યું હતું કે, રાજકોટ-શહેર-જીલ્લાની પાંજરાપોળોને પશુ દીઠ સરકારી સહાય યોજના અંતર્ગત આજ સુધીમાં પ્રથમ તબકકામાં પ કરોડ ૮૦ લાખ ચૂકવાઇ ગયા છે, હજુ઼ પણ રજીસ્ટર્ડ ગૌ શાળા અમે લીસ્ટમાં આવરી રહ્યા છીએ.