આજીવન સેવાના ભેખધારી વડીયાના શિક્ષિકા ઉષાબેન પંચમીયાનો સોમવારે અમૃત મહોત્સવ
રાજકોટ તા. ૮ : અમરેલી જિલ્લાના નાના એવા વડીયા દેવળી ગામે માતા કંચનબેન અને પિતા કેશુભાઇ પંચમીયાની કુખે જન્મેલા ઉષાબેન પંચમીયાએ એક શિક્ષિકા તરીકે કારકીર્દી જમાવી ૭૭ વર્ષની વય વટાવતા આગામી તા. ૧૧ ડીસેમ્બરના સોમવારે અમૃત મહોત્સવ ઉજવવા આયોજન થયુ છે. શિક્ષક તરીકે દેવગામમાં જોડાયા ત્યારથી લઇને ફરજ પુરી થઇ ત્યાં સુધી વિદ્યાર્થીઓએ ઉત્તમ ગુણવતા સભર શિક્ષણ આપતા રહ્યા. ખેતાણી શાળામાં ૮ વર્ષ, કન્યા શાળામાં ૩ વર્ષ અને તાલુકા શાળામાં એકધારા ૨૨ વર્ષ ફરજ અદા કરી. આજીવન માં સરસ્વતીની ઉપાસના કરનાર ઉષાબેન માટે એવુ કહેવાય છે કે દાદા, દીકરો અને પૌત્ર એમ ત્રણ ત્રણ પેઢીઓ અભ્યાસ કરી ગઇ હોય તેવા અનેક કિસ્સા આ ગામમાં છે. અમૃત મહોત્સવને લઇને ઉષાબેન (મો.૯૦૨૩૮ ૮૭૭૧૯) ને ઠેરઠેરથી શુભેચ્છાઓ વર્ષી રહ્યાનું વિપુલ પંચમીયાની યાદીમાં જણાવાયુ છે.