રોહીદાસપરામાં ૧૬ વર્ષની પુષ્પાએ ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી
માતા દરણુ લઇ ઘરે પહોંચી ત્યાં દિકરી લટકતી મળીઃ વણકર પરિવારમાં અરેરાટી
રાજકોટ તા. ૮: કુવાડવા રોડ પર રોહીદાસપરા-૭માં રહેતી પુષ્પા અરવિંદભાઇ દાફડા (ઉ.૧૬) નામની વણકર સગીરાએ પંખાના હુકમાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
પુષ્પાના માતા લક્ષ્મીબેન સાંજે દરણુ લેવા ગયા હતાં. તેઓ પરત આવ્યા ત્યારે દિકરીને લટકતી જોતાં દેકારો મચાવતાં બીજા રૂમમાંથી પિતા તથા ઉપરના માળે રહેતાં મોટા બાપુ સહિતન સ્વજનો દોડી આવ્યા હતાં. બેભાન હાલતમાં તેણીને નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇ ડાંગરે જાણ કરતાં બી-ડિવીઝનના એએસઆઇ ઉમેદભાઇ બી. પવારે જરૂરી કાર્યવાહી કરી હતી.
પુષ્પા બે ભાઇ અને બે બહેનમાં ત્રીજી હતી અને ઇમિટેશનનું કામ કરતી હતી. તેના પિતા છુટક મજૂરી કરે છે. આપઘાતનું કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે.