કોઠારીયામાંથી ૧૫ વર્ષની નનુ હાજતે ગયા બાદ ગાયબઃ અપહરણનો ગુનો
મુળ મધ્યપ્રદેશની આદિવાસી બાળાના મોટા ભાઇએ ફરિયાદ નોંધાવી
રાજકોટ તા. ૮: કોઠારીયા ગામ રણુજા મંદિર સામે આજીડેમ પોલીસ સ્ટેશન પાછળ ઝૂપડપટ્ટીમાં રહેતાં મુળ મધ્યપ્રદેશ જાંબુવાના હિમતગઢ ગામના આદિવાસી ગોવિંદ ધ્રુમસિંગ ગામળ (ભીલ) (ઉ.૨૫)ની નાની બહેન નનુ (ઉ.૧૫) તા. ૫ના સવારે સાડા છએક વાગ્યે ગૂમ થઇ જતાં આજીડેમ પોલીસે ગોવિંદની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ગોવિંદે ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે ભાઇ, ભાભી, નાની બહેન સહિતના સાથે રહે છે અને મજુરી કરી ગુજરાન ચલાવે છે. તા. ૫ના સવારે સાડા છએક વાગ્યે તેની નાની બહેન નનુ કુદરતી હાજતે કરવા ગઇ હતી. તે સાડા આઠ સુધી પાછી ન આવતાં શોધખોળ કરી હતી. પરંતુ પત્તો મળ્યો નહોતો. નદીકાંઠે વતનના જ બીજા લોકો રહેતાં હોઇ તેને ત્યાં તપાસ કરી હતી. પરંતુ પત્તો મળ્યો નહોતો. સાલપીપળીયા ગામે કાકા રહેતાં હોઇ ત્યાં પણ તેણી પહોંચી નહોતી. અંતે પોલીસને જાણ કરતા સગીર ગુમ થવાના કિસ્સામાં અપહરણનો ગુનો નોંધી પીએસઆઇ એમ. પી. સોનારાએ તપાસ હાથ ધરી છે.
નનુ ઘરેથી કંઇ લઇ ગઇ નથી. તેણે ચણીયો અને બ્લાઉઝ પહેર્યા હતાં તથા માથે ચુંદડી ઓઢી હતી. જમણા હાથ પર નનુ અનિલભાઇ ત્રોફાવેલુ છે. કોઇને જોવા મળે તો આજીડેમ પોલીસનો ફોન ૭૪૩૩૮ ૧૪૮૦૮ ઉપર જાણ કરવા જણાવાયું છે.